યમનમાં કેરળની નર્સને હત્યાના આરોપમાં મોતની સજા

Spread the love

નિમિષા પ્રિયા નામની નર્સ પર આરોપ છે કે તેણે યમનની એક વ્યક્તિને નશીલા ઈન્જેક્શન આપીને તેની હત્યા કરી હતી

નવી દિલ્હી

વિદેશમાં વસતા ભારતીયો કોઈ ગંભીર કેસમાં ફસાઈ જાય ત્યારે તેમની હાલત ખરેખર ખરાબ થઈ જાય છે. હજુ થોડા દિવસો અગાઉ જ કતારની એક કોર્ટે ભારતીય નેવીના 9 ભૂતપૂર્વ અધિકારીઓને મોતની સજા સુનાવી છે જેમને હજુ સુધી છોડાવી શકાયા નથી. આ દરમિયાન ઈસ્લામિક દેશ યમનમાં કેરળની એક નર્સને મોતની સજા સંભળાવવામાં આવી છે. નિમિષા પ્રિયા નામની નર્સ પર આરોપ છે કે તેણે યમનની એક વ્યક્તિને નશીલા ઈન્જેક્શન આપીને તેની હત્યા કરી હતી.
મરનાર વ્યક્તિએ નિમિષાનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હોવાથી તેનાથી છટકવા માટે નિમિષાએ તેને ઈન્જેક્શન આપ્યું હતું. પરંતુ તેમાં ઓવરડોઝ હોવાના કારણે વ્યક્તિનું મોત થયું હતું. આ કેસમાં નિમિષાની દયા અરજી પણ ફગાવી દેવામાં આવી છે. તેથી પરિવારજનોની માંગણી છે કે ભારત સરકાર આ મામલે દરમિયાનગીરી કરીને તેને મુક્ત કરાવે.
યમન અત્યારે ગૃહ યુદ્ધની સ્થિતિ છે અને ત્યાં જવું સલામત નથી. નિમિષા પ્રિયા આઠ વર્ષના એક બાળકની માતા પણ છે. તે યેમેનના સાના ખાતે વર્ષ 2011થી કામ કરતી હતી. તેની માતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરીને યમન જવા પરવાનગી માંગી છે જેથી ત્યાં જઈને મૃતકના પરિવાર સાથે વાત કરી શકાય. યેમેનના કાયદા પ્રમાણે મરનારનો પરિવાર જે રકમ માંગે તે ચૂકવીને નિમિષાને મૃત્યુની સજામાંથી છોડાવી શકાય છે. આ રકમને બ્લડ મની કહેવામાં આવે છે.
નિમિષાએ યમનના નાગરિકની હત્યા કરી તેના કારણે તેને મૃત્યુદંડની સજા સુનાવવામાં આવી છે અને તેની સામે જે અપીલ કરવામાં આવી હતી તે પણ રિજેક્ટ થઈ ગઈ છે. તેથી આ વિશે અંતિમ નિર્ણય યમનના રાષ્ટ્રપતિએ લેવાનો છે તેમ સરકારે હાઈ કોર્ટને જણાવ્યું હતું.
કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે યમનની સુપ્રીમ કોર્ટે કેરળની નર્સ નિમિષા પ્રિયાની દયા અરજીને નકારી કાઢી છે. નિમિષાની માતાએ તેને યમન જવા દેવામાં આવે તે માટે અરજી કરી છે જેથી તે મૃતકના પરિવારને મળે અને બ્લડ મની ચૂકવીને નિમિષાને છોડાવી શકે. દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ વિશે એક અઠવાડિયામાં નિર્ણય લેવા માટે જણાવ્યું છે.

નિમિષા પ્રિયાએ જુલાઈ 2017માં તલાલ અબ્દો માહદી નામના યમનના નાગરિકની હત્યા કરી હોવાનું સાબિત થયું છે. આ વ્યક્તિ પાસે નિમિષાનો પાસપોર્ટ હતો જે તેને પરત આપતો ન હોવાથી વધારે પડતા ઘેનનું ઈન્જેક્શન આપી દીધું હતું. જોકે, ડોઝ વધુ હોવાના કારણે તલાલ અબ્દો મરી ગયો હતો. નિમિષાની માતા આ વર્ષના પ્રારંભમાં જ દિલ્હી હાઈકોર્ટમાં ગઈ હતી અને યમન જવા દેવાની મંજૂરી માંગી હતી જેથી ત્યાં તે બ્લડ મની ચૂકવીને નિમિષા માટે સજામાં માફી માંગી શકે. પરંતુ અત્યારે યમનમાં યુદ્ધ ચાલતું હોવાથી ભારતીયોને ત્યાં જવાની મનાઈ ફરમાવાયેલી છે.
નિમિષા અને તેની સાથીદાર હનાન પર આરોપ છે કે તેમણે તલાલ અબ્દોને ઈંન્જેક્શન આપીને મારી નાખ્યા પછી તેના શરીરના ટૂકડા કરીને પાણીની ટાંકીમાં નાખી દીધા હતા. તેના કારણે નિમિષાને ફાંસીની સજા સુનાવાઈ છે જ્યારે તેની યેમેની સાથીદારને આજીવન કેદની સજા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *