સ્ટ્રીટ ફાઈટ વણસી ગઈ હતી અને 17 વર્ષના શીખ છોકરા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરાતાં મોત થયું

લંડન
વિદેશમાં ભારતીયોની હત્યાના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. ભારતીયો પર ઘાતકી હુમલા થયા હોય એવું પણ બન્યું છે. વિશ્વના અલગ-અલગ દેશોમાં ભારતીયો પર હુમલાની ઘટના બનતી રહે છે. હાલમાં જ લંડનથી આવી ઘટના સામે આવી છે. લંડનમાં ભારતીય મૂળના 17 વર્ષીય કિશોરની હત્યા કરવામાં આવી છે. 15 નવેમ્બરને બુધવારે સાઉથ-વેસ્ટ લંડનમાં સ્ટ્રીટ ફાઈટ દરમિયાન 17 વર્ષીય છોકરાની હત્યા કરી દેવામાં આવી છે.
ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, લંડનની મેટ્રોપોલિટન પોલીસને માહિતી મળી કે, લંડનના હાઉંસલો વિસ્તારમાં બર્કેટ ક્લોઝમાં સ્ટ્રીટ ફાઈટ ચાલી રહી છે. બુધવારે રાત્રે સ્ટ્રીટ ફાઈટ ચાલતી હતી. આ માહિતી મળતાં જ પોલીસ લંડન ઘટનાસ્થળે પહોંચી હતી. તેમની સાથે લંડન એમ્બ્યુલન્સ સર્વિસ પણ હતી. પોલીસે પહોંચીને આખો મામલો થાળે પાડ્યો હતો. આ સ્ટ્રીટ ફાઈટ વણસી ગઈ હતી અને 17 વર્ષના શીખ છોકરા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું, “ઈમર્જન્સી સર્વિસે પોતાનાથી બનતા બધા જ પ્રયાસ કર્યા પરંતુ સીમરજીત સિંહ નાગપાલ નામના 17 વર્ષના છોકરાને ના બચાવી શકાયો.
ઘટના વિશે વાત કરતાં વેસ્ટ લંડન સીઆઈડીના હેડ ડિટેક્ટિવ સુપ્રીટેન્ડન્ટ ફિગો ફોરુઝાને જણાવ્યું, “આ દુઃખની ઘડીમાં અમે સીમરજીતના પરિવારને સાંત્વના પાઠવીએ છીએ. તેમની સાથે જે થયું તેવું કોઈ પરિવાર સાથે ના બનવું જોઈએ. પીડિતના પરિવારને વિશેષ અધિકારીઓ તરફથી મદદ પૂરી પાડવામાં આવી રહી છે. આ ઘટનાને કારણે ચોક્કસથી ચિંતાનો માહોલ ઊભો થયો છે પરંતુ હું આખા સમુદાયને ખાતરી આપવા માગુ છું કે, જવાબદારોને પકડવા માટે હું એડીચોટીનું જોર લગાવીશ. આગામી દિવસોમાં તમે જોશો કે તમારા વિસ્તારમાં વધુ સંખ્યામાં ઓફિસરો પેટ્રોલિંગ કરતા હશે. તમને કોઈ વાતે ચિંતા હોય તો તેમને અચૂક જણાવજો.”
જણાવી દઈએ કે, સીમરજીત સિંહની હત્યાના મામલે પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓની ઉંમર 21,27, 31 અને 71 વર્ષ છે. ચારેય શકમંદોની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરવામાં આવી હતી. ચારમાંથી બે આરોપીઓને આ ફાઈટ દરમિયાન ઈજા થઈ હોવાથી પોલીસના આવતાં પહેલા જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતાં જ પોલીસે તેમને પકડી લીધા હતા અને ત્યારથી તેઓ પોલીસ કસ્ટડીમાં છે.
