2000 રૂપિયાની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી, લોકો આરબીઆઈની 19 ઓફિસમાં રૂ. 2,000ની નોટ જમા કે બદલાવી શકશે

નવી દિલ્હી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 19 મે 2023ના રોજ રૂ. 2,000ની નોટ ચલણમાંથી પાછી ખેંચવાનો નિર્ણય કર્યો હતો. આરબીઆઈએ કહ્યું છે કે હજુ પણ 9,760 કરોડ રૂપિયાની 2,000ની નોટો લોકો પાસે છે જ્યારે 97% નોટો બેંકમાં જમા થઈ ગઈ છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર જે દિવસે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે દિવસે 2000 રૂપિયાની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટો ચલણમાં હતી. લોકોને 2000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવવા માટે 30મી સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આરબીઆએ 2000 રૂપિયાની નોટ જમા અને બદલવા માટે સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર સુધી કરવામાં આવી હતી. નોટ જમા કરાવવા તેમજ બદલવાની છેલ્લી તારીખના મહિના બાદ પણ હજુ પણ 2.7 ટકા નોટો લોકો પાસે છે જે બેંકમાં જમાં કરાવી નથી. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની બેંકમાં અત્યાર સુધીમાં 97.26% નોટો જ જમા થઈ છે.
હવે જ્યારે સમયમર્યાદા સમાપ્ત થઈ ગઈ હોવાથી લોકો આરબીઆઈની 19 ઓફિસમાં રૂ. 2,000ની નોટ જમા કે બદલાવી શકશે. આરબીઆઈની આ ઈસ્યુ ઓફિસ અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ છે. આ ઉપરાંત લોકો રૂપિયા 2000ની નોટોને ઈન્ડિયા પોસ્ટ દ્વારા RBIની ઈસ્યુ ઓફિસમાં મોકલીને તેમના ખાતમાં જમા મેળવી શકે છે.
