યોગી કોર્પોરેશન ગ્રૂપ ઓફ ઈન્ડિયા નામની નકલી સંસ્થા બનાવી ભળતું નામ રાખ્યું હતું અને એડ્રેસ પણ ખોટુ હતું

ગોરખપુર
ઉત્તરપ્રદેશમાં નકલી સંસ્થા બનાવીને લોકોને છેતરતા બે આરોપીની ગોરખપુર પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની ઓળખ ગોરખપુર મંદિરના નજીકના હોવાનું બતાવીને સેકડો લોકો સાથે છેતરપિંડી કરી છે. તેમની પાસેથી બનાવટી દસ્તાવેજો અને ઓળખકાર્ડ પણ મળી આવ્યા છે. ફરિયાદ બાદ પોલીસ તેમની પાછળ લાગી હતી, જે પછી થોડા દિવસોમાં પોલીસે બન્ને આરોપીને તેમના ઘરમાંથી પકડ્યા હતા. નવાઈની વાત તો એ છે કે, એક બીજેપીના એક મહિલા નેતા પણ આ ઠગોની જાળમાં ફસાયા હતા.
પકડાયેલા આરોપીઓનું નામ હર્ષ ચૌહાણ અને કેદારનાથ અગ્રહરિ છે. હર્ષ ગાજિયાબાદનો છે, જ્યારે કેદારનાથ મહરાજગંજનો છે. તપાસમાં જાણકારી સામે આવી કે, બન્ને બનાવટી ઓળખપત્રો બનાવી લોકો સાથે છેતરપિંડી કરતાં હતા. તેમણે ‘યોગી કોર્પોરેશન ગ્રૂપ ઓફ ઈન્ડિયા’ નામની નકલી સંસ્થા બનાવી હતી. જેમાં તેઓએ ભળતું નામ રાખ્યું હતું અને એડ્રેસ પણ ખોટુ હતું.
આરોપીઓ સોશિયલ મીડિયા વગેરે દ્વારા લોકોને ગેરમાર્ગે દોરીને પૈસા પડાવતા હતા. ક્યારેક તેમની સંસ્થામાં મેમ્બરશીપ આપવા, તો ક્યારેક અધિકારીઓ અથવા કાર્ડ બનાવવાના નામ પર છેતરપિંડી કરતા હતા. જો કે, હાલમાં પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગમાં બીજા અન્ય લોકો પણ સામેલ છે કે કેમ તે વિશે વધુ માહિતી મેળવી રહી છે.
ગોરખપુર એસપી સિટી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ કહ્યુ કે, હાલમાં બન્ને આરોપીને ધરપકડ કરવામાં આવી છે. બન્ને યુપી સહિત દેશના અલગ અલગ વિસ્તારોમાં નકલી સંસ્થા બનાવીને ગોરખપુર મંદિરના નજીકના બનીને લોકોને ઠગતા હતા. તેઓ પોતાનું નામ યોગી સાથે જોડીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા. આ ઉપરાંત લોકોને તેમની નકલી સંસ્થામાં મેમ્બર બનાવવાના નામે છેતરપિંડી કરતા હતા.
રિપોર્ટ પ્રમાણે હાલમાં જ કાનપુરની રહેનારી એક બીજેપી મહિલા પણ આ ઠગોની જાળમાં ફસાઈ છે. આ મહિલાને વોટ્સએપમાં એક લિંક મળી હતી, તેના દ્વારા તેઓ ‘યોગી કોર્પોરેશન ગ્રૂપ ઓફ ઈન્ડિયા’ નામના ગ્રૂપમાં જોડાયા હતા. ત્યાર બાદ આરોપીએ મહિલાને ફોન દ્વારા સંપર્ક કરી તેમને કાનપુર નગરના પ્રભારી બનાવવાની વાત કરી હતી. અને જરુરી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા, પરંતુ આરોપીઓએ જ્યારે મહિલાને ઓળખકાર્ડ મોકલાવ્યું હતું, તેમા ગોરખપુર મંદિરનું એડ્રેસ લખેલુ હતું તે નકલી હતું. ત્યારે મહિલાને ખબર પડી કે તે આ ઠગોની છેતરપિંડીનો શિકાર બની છે.
