અયોધ્યાની જેમ મથુરામાં પણ ઠાકુરજી આરામથી બિરાજશે

Spread the love

આ દેશ રઘુવરનો છે બાબરના પરિવારનો નથી, વ્રજના સાધુ-સંતો ભેગા મળીને ઠાકુરજીને બિરાજમાન કરશેઃ શાસ્ત્રી

મથુરા

બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એક નિવેદન આપ્યુ છે. તેમણે મથુરામાં કહ્યું કે જે રીતે ભગવાન રામલલા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા અને એક પાંદડું પણ ન હલ્યું તેવી જ રીતે ઠાકુરજી પણ મથુરામાં આરામથી બિરાજશે. તેમણે કહ્યું કે આ દેશ રઘુવરનો છે બાબરના પરિવારનો નથી. વ્રજના તમામ સાધુ-સંતો ભેગા મળીને ઠાકુરજીને અહીં બિરાજમાન કરશે.

ધીરેન્દ્ર શાસ્ત્રીએ બુધવારે બાંકે બિહારી મંદિરમાં દર્શન કર્યા હતા. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે પણ એક માગ કરી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે વૃંદાવન ધામની આસપાસ 20 કિલોમીટર સુધી દારૂ અને માંસના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે વૃંદાવનથી મોટું કોઈ ધામ નથી.

બીજી તરફ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અંગે પૂછવામાં આવેલા સવાલ પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, અમે વ્રજવાસીઓના પગ પકડીને અને સાધુ-સંતોને આગળ કરીને અમારા ભાઈ દેવકીનંદન ઠાકુર પૂરજોશથી કૃષ્ણ જન્મભૂમિની તૈયારીઓ કરી રહ્યા છે. દરેક પરિસ્થિતિમાં અમે બધા સંતો સાથે મળીને કોઈ પણ સ્થિતિમાં ઠાકુરજીને અહીં બિરાજમાન કરીશું. જેવી રીતે રામલલા બિરાજમાન થયા અને અને એક પાંદડું પણ ન હલ્યું તેવી જ રીતે ઠાકુરજી મથુરામાં બિરાજશે કારણ કે દેશ રઘુવરનો છે.

જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ મથુરામાં પોતાનો દરબાર લગાવશે? તેના પર તેમણે કહ્યું કે, અહીં દરબાર લાગેલો જ છે. બાંકે બિહારીથી મોટો દરબાર નથી. અહીં દરબારની આવશ્યક્તા નથી. અહીં તો હનુમાનજી પોતે ભક્તિમાં આવીને ડૂબી જાય છે. જોકે, અહીં અમે ટૂંક સમયમાં કથા શરૂ કરીશું.

આ પહેલા જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી મુરાદાબાદ પહોંચ્યા હતા ત્યારે તેમણે મુરાદાબાદનું નામ બદલવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં ઘણા નામો બદલાઈ ગયા છે. જ્યારે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી શકાય છે. અલ્હાબાદનું નામ પ્રયાગરાજ થઈ શકે છે, તો મુરાદાબાદને હવે બદલીને માધવનગર કરવું જોઈએ. એ કોઈ મોટી વાત નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેની પાછળના કારણો પણ જણાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *