પાકિસ્તાન ભારતમાં ટીમ મોકલે એ અંગે શંકા

Spread the love

આઈસીસીએ પીસીબીની ચેન્નઈ અને બેંગલુરુમાં અલગ-અલગ ટીમો સામે મેચ ન યોજવાની માંગને પણ ઠુકરાવી દીધી


નવી દિલ્હી
આઈસીસીએ ગઈકાલે વનડે વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત કરી હતી, પરંતુ પીસીબી હજુ પણ આ મેગા ઇવેન્ટ માટે તેની ટીમને ભારત મોકલવા અંગે આશંકિત છે. જો કે આઈસીસીને વિશ્વાસ છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ 2023 માટે ચોક્કસપણે ભારત આવશે. આઈસીસીએ પીસીબીની ચેન્નઈ અને બેંગલુરુમાં અલગ-અલગ ટીમો સામે મેચ ન યોજવાની માંગને પણ ઠુકરાવી દીધી હતી. વાસ્તવમાં પીસીબી ચેન્નઈની પીચ પર અફઘાનિસ્તાન સામે અને બેંગલુરુંમાં ઓસ્ટ્રેલિયા સામે મેચ રમવા માંગતી ન હતી.
વર્લ્ડ કપ 2023માં રમવા માટે પાકિસ્તાનનો આઈસીસી સાથે કરાર છે અને આઈસીસીને ખાતરી છે કે પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત આવશે. આઈસીસીના પ્રવક્તાએ કહ્યું કે તમામ સંલગ્ન દેશો તેમના દેશના નિયમોથી બંધાયેલા છે અને અમે તેનું સન્માન કરીએ છીએ. પરંતુ અમને ખાતરી છે કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત જશે. પાકિસ્તાની ટીમ છેલ્લે ભારતમાં વર્ષ 2020માં ટી20 વર્લ્ડ કપ રમવા આવી હતી.
વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલની જાહેરાત પછી તરત જ પીસીબીએ સ્પષ્ટ કર્યું છે કે મેગા ઇવેન્ટમાં પાકિસ્તાનની ભાગીદારી સરકારની મંજૂરીને આધીન છે. પીસીબીના અધિકારીએ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં અમારી ભાગીદારી અને ક્વોલિફાય થયા પછી 15 ઓક્ટોબરે અમદાવાદ અથવા મુંબઈમાં અમારું રમવું સંપૂર્ણપણે સરકારની મંજૂરી પર નિર્ભર રહેશે. સરકારે હજુ સુધી બોર્ડને ભારત પ્રવાસ માટે એનઓસી જારી કર્યું નથી. હવે આ એક સંવેદનશીલ મામલો હોવાથી સરકાર તરફથી માર્ગદર્શિકા મળ્યા બાદ જ બોર્ડ આ અંગે આગળ વધી શકે છે. અમે આઈસીસીને પહેલાથી જ જાણ કરી દીધી છે કે ટૂર્નામેન્ટ અને મેચના સ્થળોમાં અમારી ભાગીદારી સંબંધિત કોઈપણ મુદ્દો પીસીબીની ભારત મુલાકાતને લઈને સરકારની મંજૂરી સાથે સંબંધિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *