અમદાવાદ કેન્દ્રમાં સીએ ફાયનલનું 19.35 ટકા, ઈન્ટરમિડીયેટનું10.62 ટકા અને ફાઉન્ડેશન પરીક્ષાનું 13 ટકા પરિણામ, સીએ ફાયનલમાં અમદાવાદની પ્રિયલ જૈન 18મા ક્રમે અને પાર્થ શાહ 28મા ક્રમે

અમદાવાદ
ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા મે 2025માં લેવામાં આવેલી સીએ ફાયનલ, સીએ ઈન્ટરમિડીયેટ અને સીએ ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. આ પરિણામ સાથે દેશમાં 14247 નવા સીએ ઉમેરાયા છે જેમાં 266 સીએ અમદાવાદમાં ઉમેરાયા છે.
આ અંગે માહિતી આપતા આઈસીએઆઈનાં સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે, મે 2025માં લેવામાં આવેલી સીએ ફાયનલ કોર્સની પરીક્ષામાં બંને ગ્રુપોમાં સમગ્ર ભારતનું પરિણામ 18.75 ટકાનું છે. જે નવેમ્બર 2024માં 13.44 ટકાનું હતું. ગ્રુપ 1નું પરિણામ 22.38 ટકાનું છે, જે નવેમ્બર 2024માં 16.80 ટકા અને ગ્રુપ 2માં 26.43 ટકા છે, જે નવેમ્બર 2024માં 21.36 ટકાનું હતું.
બંને ગ્રુપોમાં કુલ 29286 વિદ્યાર્થીઓ બેઠા હતાં. જેમાંથી 5490 પાસ થયા છે.
સીએ ઈન્ટરમિડીયેટ કોર્સમાં ભારતનાં પરિણામો અંગે સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું કે, બંને ગ્રુપોનું પરિણામ 13.22 ટકાનું છે, જે નવેમ્બર 2024માં 14.05 ટકાનું હતું. ગ્રુપ 1નું પરિણામ 14.67 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 21.51 ટકાનું છે. જે નવેમ્બર 2024માં અનુક્રમે 14.17 ટકા અને 22.16 ટકાનું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે સીએ ફાઉન્ડેશન કોર્સમાં ઓલ ઈન્ડિયાનું પરિણામ 15.9 ટકા હતું. જે નવેમ્બર 2024માં 21.52 ટકાનું હતું.
સીએ ફાઈનલ કોર્સમાં અમદાવાદ કેન્દ્રના પરિણામો અંગે માહિતી આપતા આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરમેન સીએ નીરવ અગ્રવાલે જણાવ્યું હતું કે મે 2025માં લેવાયેલી સીએ ફાયનલ પરીક્ષામાં બંને ગ્રુપનું પરિણામ 19.35 ટકા, ગ્રુપ 1નું પરિણામ 23.28 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 20.10 ટકાનું છે. જે નવેમ્બર 2024માં લેવાયેલી પરીક્ષામાં અનુક્રમે 13.44 ટકા, 16.80 ટકા અને 21.36 ટકાનું હતું. અમદાવાદ કેન્દ્રની પ્રિયલ પ્રમોદ જૈને ભારતમાં 18મો રેન્ક અને પાર્થ અમર શાહએ 28મો રેન્ક મેળવ્યો છે.
અગ્રવાલે સીએ ઈન્ટરમિડીયેટ કોર્સની પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનાં પરિણામો અંગે જણાવ્યું હતું કે બંને ગ્રુપનું પરિણામ 10.62 ટકા, ગ્રુપ 1નું પરિણામ 13.99 ટકા અને ગ્રુપ 2નું પરિણામ 33.18 ટકાનું છે. જાન્યુઆરી 2025માં લેવાયેલી પરીક્ષામાં આ પરિણામ અનુક્રમે 21.94 ટકા, 8.12 ટકા અને 31.56 ટકાનું હતું.
અમદાવાદની કિંજલ રાજેશ ચૌધરીને 29મો રેન્ક અને યુગ અનિલકુમાર પટેલનો 38માં રેન્ક મળ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે સીએ ફાઉન્ડેશન કોર્સમાં મે 2025માં લેવાયેલી પરીક્ષામાં અમદાવાદ કેન્દ્રનું પરિણામ 13 ટકાનું છે. જે જાન્યુઆરી 2025માં લેવાયેલી પરીણામ 23.16 ટકાનું હતું.
