રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે શુભમ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક ગીતગાન યોજાયું

અમદાવાદ
રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ ના ગૌરવશાળી ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે અમદાવાદની શુભમ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કોલેજના વિદ્યાર્થીઓ સાથે વંદે માતરમ્ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું.
આ પ્રસંગે રાજયકક્ષાના શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત નર્સિંગ વિદ્યાર્થીઓ અને યુવાનોને સંબોધતા રાજયકક્ષા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વંદે માતરમ્ ગીતના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
તેમણે જણાવ્યું કે, ભારતની આઝાદી પાછળ અનેક લોકોનું તપ અને બલિદાન રહેલું છે. અસંખ્ય ક્રાંતિવીરોએ આઝાદીની વેદી પર પોતાનું લોહી રેડ્યું છે, અને એવા ક્રાંતિવીરો અને તપસ્વીઓ માટે ‘વંદે માતરમ્’ ગીત ઊર્જાનો અખૂટ સ્ત્રોત હતો
મંત્રીએ યુવા પેઢીને આહ્વાન કરતાં કહ્યું કે, “આપણી યુવા પેઢીએ વંદે માતરમ્ ના આ અમૂલ્ય વારસાને જાળવી રાખવાનો છે. જ્યારે જ્ઞાતિવાદ, ધર્મ-પંથના ભેદભાવથી ઉપર ઊઠીને સમાનતા અને સમરસતા પ્રવર્તતી હોય તેવા સામાજિક માહોલમાં વંદે માતરમ્ ગીત ગવાય તે જરૂરી છે. આપણે સૌએ બંધુતા, એકતા અને સમરસતા લાવીને રાષ્ટ્રના સામાજિક લક્ષ્યોને સાકાર કરવા માટે કાર્ય કરવાનું છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, બનાવટી લાગણીઓથી નહીં, પરંતુ જ્યારે શુદ્ધ રાષ્ટ્રપ્રેમનો ભાવ હૃદયમાં જાગે, ત્યારે જ ‘વંદે માતરમ્’ નો નાદ યથાર્થરૂપે નીકળે છે. જ્યારે યુવાનો વ્યસન મુક્ત હોય, પોતાના માતા-પિતા અને વડીલોનો આદર કરતા હોય, ત્યારે ઘરમાં પણ વંદે માતરમ્ ગુંજે છે.
મંત્રીશ્રીએ દેશની પ્રગતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, “આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના સશક્ત નેતૃત્વમાં હિન્દુસ્તાન વિકસિત રાષ્ટ્ર બનવા તરફ તેજ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે અને વંદે માતરમ્ નો નારો દરેક દેશવાસીના દિલમાં ગુંજી રહ્યો છે.”
આ પ્રસંગે ઉપસ્થિત રાજયકક્ષા શહેરી વિકાસ મંત્રી ર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે, “વિશ્વના અન્ય કોઈ દેશને ‘માતા’ કહેવાતું નથી, પરંતુ એકમાત્ર ભારતને આપણે ‘ભારત માતા’ કહીને સંબોધીએ છીએ. વંદે માતરમ્ ગીત એ જ ભારતમાતાનું સ્તુતિ ગાન છે, જે આપણને સૌને ગૌરવ અપાવે છે.”
આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ પૂર્ણ ઉત્સાહ સાથે વંદે માતરમ્ નું ગાન કર્યું, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
