સૃષ્ટી સંસ્થા દ્વારા ભાગવદ વિદ્યાપીઠમાં યોજાયેલા મેળામાં શુદ્ધ-સાત્વિક વાનગીઓનો સ્વાદ માણવા મહેરામણ ઉમટ્યું

નરેન્દ્ર આઈ. પંચોલી
અમદાવાદ
શહેરજનોએ ન સાંભળી હોય કે ન જોઈ હોય એવી વાનગી, શુદ્ધ સાત્વિક અને ઓર્ગેનિક અનાજ-વસ્તુઓમાંથી બનાવાયેલા વ્યંજનોને એક જસ્થળે માણવાનો મોકો અમદાવાદીઓને ભાગવદ વિદ્યાપીઠ ખાતે યોજાયેલા સૃષ્ટીના વિસરાતી વાનગી મહોત્સવમાં મળ્યો. 31 ડિસેમ્બર સુધી ચાલનારા આ મેળો 25 ડેસમ્બરથી ચાલુ થયો હતો અને દરરોજ તેમાં લાખો લોકોએ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ મેળામાં કેટલિક વાનગી અને કેટલાક શાક-ફળ એવા હતા કે જેનાં શેહરીજનોએ ક્યારેય નામ પણ ન સાંભળ્યા હોય. વળી કેટલાક વ્યંજનો પણ એવા હતા કે ભલે કોઈ બહુ જાણીતા ધાન કે શાકમાંતી ન બનાવ્યા હોય પણ તે ખૂબજ સ્વાદિષ્ટ હતા. આવા કેટલાક શાક, ફળ અને વ્યજંનો અંગે જાણવું રસપ્રદ રહેશે.

પપનસ-ચકોરિયું
નાની ટેટી જેવું આ ફળ છોડ પર થાય છે. આ ફળનો સ્વાદ મોસંબી જેવો હોય છે. તેને ખાઈ પણ શકાય છે તથા તેનો રસ કાઢીને પણ ઉપયોગ કરી શકાય છે. આ ફળ લિંબોડીના ઝાડ જેવા વૃક્ષ પર થાય છે. આ અંગે વધુ માહિતી આપતા ગ્રામભારતી સંસ્થા સાથે સંકળાયેલા આરતી રાવળ અને સાહિલ રાવળે જણાવ્યું હતું કે,200 રુપિયે કિલો મળતા આ ફળના ફૂલ ચોમાસામાં બેસે અને તે નવેમ્બર-ડિસેમ્બરમાં વધુ જોવા મળતા હોય છે. આ ફળ અંગે ભૂરાભાઈ ઘેનુજાએ કહ્યું હતું કે આ ફળના રસ બની શકે ઉપરાંત તેને સુકવીને પાવડર બનાવી શકાય છે. આ ફળના સેવનથી ગ્લુકોઝ અને વિટામિન મળે છે.

ફિંડલા
એમ તો આ ફળ અને તેનો રસ છેલ્લા કેટલાક વર્ષથી મોટા શહેરોમાં પણ જોવા મળે છે. લાલ રંગના આ ફળ અંગે વિંછીયા તાલુકાના ગુંદાળા ગામના અર્જુન નથુભા બારૈયાએ જણાવ્યું હતું કે આ ફળનં વાવેતર થઈ શકતું નથી. આ આપમેળ ડુંગરામાં થતા હોય છે. અમે આને ડુંગરાઓ પરથી વિણીને લાવીએ છીએ. આ ફળ કાઠિયાવાડમાં વધુ જોવા મળે છે. આ ફળ થોરિયા જેવા કાંટાળા છોડ પર થતા હોય છે. ડિસેમ્બરમાં પાકં, માર્ચ-એપ્રિલમાં પણ જોવા મળે છે. આ ફળને આકા પણ ખાઈ શકાય પણ તેનો જ્યુસ વધુ પ્રચલિત છે. આના સેવનથી હિમોગ્લોબિન વધે છે, દાંત અને હાડકાં મજબૂત થાય અને તંદુરસ્તી જળવાય છે. સૃષ્ટી સાથેના જોડાણ અંગે અર્જુન ભાઈએ જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી તેઓ આ સંસ્થા સાથે સંકળાયેલા છે. આ સંસ્થા સાથે જોડાતા પહેલા તેમની પાસે કંઈજ નહતું. હવે તેઓ સારા પૈસા કમાઈ રહ્યા છે.

ગાયના દૂધની લાઈવ કુલ્ફી
આ મેળામાં પ્રથમ વખત સંકળાયેલા કશ્યપ દવે, તેમના પત્ની દીપ્તીબેન અહીં ગાયના દૂધની લાઈવ કુલ્ફી બનાવીને વેચાણ કરતા જોવા મળ્યા. આ કુલ્ફીની વિશેષતા અંગે કશ્યપભાઈએ કહ્યું કે અમે રોજ ગાયનું વધુ ફેટવાળું દૂધ ખાસ મંગાવીને અહીં જ કઢાઈમાં તેને અડધું થી જાય ત્યાં સુધી ઉકાળીને તેમાં 20 ટકા ઓગ્રેનિક બ્રાઉન શુગર નાખીએ છીએ. અમે તેમાં કોઈ પણ અન્ય તત્વો ભેળવતા નથી. તમામ ઓર્ગેનિક વસ્તુઓનો ઉપયોગ કરીને મીઠું અને બરફથી ભરેલા સાંચામાં કુલ્ફી જમાવીએ છીએ. કુલ્ફીના એક લોટને જામતા 20 મિનિટનો સમય થતો હોય છે. ગાંધીનગર કૂડાસણના કશ્યપભાઈ આ કુલ્ફી માટે ખાસ ગીરની ગાયનું દૂધ મંગાવાતું હોવાનો દાવો કરતો કહ્યું હતું કે આ મેળામાં જો અમે રોજની 3000 કુલ્ફી ન વેચીએ તો અમારું ભાડું પણ ન નિકળે. જોકે, અહીં અમને જોરદાર પ્રતિસાદ મળ્યો છે.
