અનંત સેવા: અનંત અંબાણીએ 57 લાખથી વધુ લોકોને મદદરૂપ થઈ પોતાના 31મા જન્મદિનની ઉજવણી કરી

Spread the love

ધાર્મિક ટ્રસ્ટ, શિક્ષણ તથા આરોગ્ય સંસ્થાઓતેમજ સામાજિક કલ્યાણની સંસ્થાઓને તેમણે આપેલું દાન લોકોના જીવનને હંમેશ માટે બદલવામાં મદદરૂપ થશે

જામનગર 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો નાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું. તેમના 31મા જન્મદિવસ પ્રસંગે, 31 અલગ-અલગ સખાવતી પહેલની જાહેરાત કરાઈ છે. આ અંતર્ગત દ્વારકા, સોમનાથ, અંબાજી અને સાળંગપુર સહિતના ગુજરાતના મુખ્ય ધર્મસ્થળો ખાતે યાત્રાળુઓ માટે માળખાકીય વિકાસ ઉપરાંત જામનગર અને અન્ય સ્થળોએ શૈક્ષણિક માળખાગત સુધારાના કાર્યો, ગૌશાળાની સ્થાપના, રિલાયન્સના કોન્ટ્રાક્ચ્યુઅલ કામદારો માટે મિઠાઇ, સામુદાયિક ભોજન સમારંભો, જામનગર રિફાઇનરીની આસપાસના ગામડાંની મહિલાઓ માટે સાડીના વિતરણ અને ગ્રામીણ વિસ્તારોમાં આવશ્યક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનો સમાવેશ થાય છે.

અનંત અંબાણી સનાતન ધર્મમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે અને વારંવાર વિવિધ તીર્થસ્થાનોમાં દર્શન કરવા જાય છે. તેમના જન્મદિવસ નિમિત્તે, ગુજરાતના યાત્રાધામો માટે વિવિધ પહેલોની જાહેરાત કરાઈ છે. દ્વારકામાં ભગવાન કૃષ્ણના ધામમાં દર્શનાર્થે આવતા યાત્રાળુઓની સુવિધા માટે બહુમાળી યાત્રી ભવન બનાવવામાં આવશે. વધુમાં, વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ ભક્તોની અવર-જવરની મુશ્કેલીઓ દૂર કરવા દ્વારકા શારદાપીઠમાં અત્યાધુનિક એસ્કેલેટર સ્થાપિત કરાશે. આ પહેલથી દર વર્ષે ભારત અને વિશ્વના વિવિધ ભાગોમાંથી આ પવિત્ર નગરીની મુલાકાત લેતા 75,000થી વધુ યાત્રાળુઓને લાભ થશે.

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં નિર્માણાધીન યાત્રી ભવનમાં 17 રૂમ સાથેનો એક આખો અલગ માળ બનાવાશે. અનંત અંબાણી અંબાજી મંદિરમાં એક વર્ષ સુધી ભોજન પ્રસાદી સેવા માટેનું વચન અગાઉ આપી ચૂક્યા છે. આ ઉમદા પહેલથી મા અંબાના આશીર્વાદ મેળવવા આવતા લગભગ 26 લાખ ભક્તોને ભોજન પૂરું પાડવામાં આવશે. તેવી જ રીતે, સોમનાથ મંદિર સ્થિત દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સ્થળે એક વર્ષના સમયગાળા માટે સવાર અને સાંજની ભોજન પ્રસાદી સેવાનું પણ આયોજન કરાયું છે, જેનો વર્ષે 26 લાખ યાત્રાળુને લાભ મળશે. નાથદ્વારા ખાતે હાલ શ્રીનાથજીની અનંત સેવા હેઠળ દર વર્ષે આશરે 2.25 લાખ વૈષ્ણવ ભક્તો અન્ન સેવાનો લાભ લઈ રહ્યા છે.

અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ હેલ્થકેર માટેની વિવિધ પહેલોને સુદૃઢ બનાવવાનો પણ છે. જામનગરમાં ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં સારવાર લેનારા લગભગ 2.26 લાખ દર્દીને એક વર્ષ માટે ડૉક્ટરની સૂચના મુજબનું ભોજન પૂરું પાડવામાં આવશે. જ્યારે પ્રોજેક્ટ દ્રષ્ટિ હેઠળ જામનગરમાં નિઃશુલ્ક નેત્રરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું છે. આજદિન સુધીમાં, આ પ્રોજેક્ટ અંતર્ગત 1.50 લાખથી વધુ લોકોને આંખની નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી ચૂકી છે. વધુમાં, આગામી 19 એપ્રિલના રોજ જોગવડ ખાતે એક મલ્ટી-સ્પેશિયાલ્ટી આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરાયું છે, જેનો આસપાસના ગામડાંના રહેવાસીઓને લાભ મળશે. આ સિવાય પડાણા સ્થિત એનિમલ હોસ્પિટલમાં એક પશુ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં માળખાગત સુવિધાઓ સુધારવા, જામનગર જિલ્લાના સિક્કા અને ડેરા છીકારી ગામોમાં સ્કૂલ માટે નવા મકાન બાંધવાનું આયોજન કરાયું છે. જામનગર રિફાઇનરી અને ગીરતારાની આસપાસના ગામોમાં સરકારી પ્રાથમિક સ્કૂલના આશરે 12,000 વિદ્યાર્થીને ટ્રેકસૂટનું વિતરણ કરાશે. શ્રી અનંત અંબાણીની સૂચના મુજબ, જામનગરમાં એક અત્યાધુનિક સામુદાયિક રસોડું બનાવીને અક્ષય પાત્ર ફાઉન્ડેશનને સોંપણી કરાઈ છે. હાલ આ સંસ્થા જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ દરરોજે લગભગ 22,000 વિદ્યાર્થીઓને (દર વર્ષે 55 લાખ ભોજન) સેવા પૂરી પાડે છે. વધુમાં, વડોદરાના ગોરજ મુનિ સેવાશ્રમમાં આદિવાસી વિદ્યાર્થી છાત્રાલયમાં માળખાગત સુવિધાઓ સુધારવા માટે અપાયેલા દાનથી અહીંના 700 વિદ્યાર્થીને લાભ થશે. અહીંના ગ્રામજનોને સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોનાં આયોજનમાં મદદરૂપ થવા, જામનગરમાં ગાગવા, નવાગામ અને પીપળી, જૂનાગઢમાં સમતપરા અને વડોદરાના ધનોરામાં કોમ્યુનિટી હોલ બનાવવાનું આયોજન કરાયું છે.

રાજકોટના સદભાવના વૃધ્ધાશ્રમ અને ખેડામાં મહિપતસિંહ ફાઉન્ડેશનને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે, જેનો લાભ 4,000 વરિષ્ઠ નાગરિકોને મળશે. જ્યારે ગ્રામીણ વિકાસની વાત કરીએ તો, જામનગરના નવ ગામમાં સ્મશાનગૃહો બનાવવામાં આવશે, જેમાં મોટી ખાવડી, નાની ખાવડી, ગાગવા, નવાગામ, મેઘનું ગામ, મેઘપર, પડાણા, જોગવડ અને સેતાલુસ તેમજ જૂનાગઢના કારિયા અને મેંદપરાનો સમાવેશ થાય છે. સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તેમજ જામનગર જિલ્લાના સેતાલુસ ખાતે ગૌશાળાનું નિર્માણ કરાશે.

અનંત અંબાણીના 31મા જન્મદિવસની ઉજવણી માટે 10 દિવસ સુધી ચાલનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળાનું આયોજન કરાયું છે. આ અંતર્ગત જામનગરના જોગવડ, મોટી ખાવડી અને શાપર તેમજ જૂનાગઢ નજીકના પાસવાડા ખાતે લોક ડાયરાના કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ ઉજવણીના ભાગ રૂપે, 9 એપ્રિલ, 2026ના રોજ, આસપાસના ગામોના રહેવાસીઓ માટે જોગવડમાં એક ભવ્ય ભોજન સમારંભ યોજાયો હતો. જામનગરમાં રિફાઇનરીની આસપાસના 15 ગામના 31,000 લોકોને મિઠાઈની ભેટ ઉપરાંત 31,000 મહિલાઓમાં સાડીનું વિતરણ કરાવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે, ગીરતારાની આસપાસના ગામોમાં 5,000 લોકોને મિઠાઈ વહેંચાશે. સર્વ સમાવેશી અભિગમ દાખવતા, જામનગર સંકુલમાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ્સમાં કાર્યરત 95,000થી વધુ કોન્ટ્રાક્ચ્યુઅલ કામદારોમાં ફૂડ હેમ્પર્સનું વિતરણ કરીને તેઓને પણ આ ઉજવણીમાં સામેલ કરાયા હતા. આ રીતે આ ઉજવણીમાં આશરે 1.75 લાખ લોકો સક્રિય અને સીધી રીતે સામેલ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *