દેશના 50 વિલફૂલ ડિફોલ્ટર્સ પાસેથી બેન્કોએ 87295 કરોડ લેવાના નિકળે છે

Spread the love

ટોચના ડિફોલ્ટર્સમાં સૌથી ઉપર મેહુલ ચોક્સી અને ઋષિ અગ્રવાલ જેવા નામ સામેલ


નવી દિલ્હી
દેશની બેન્કોને કરોડો-અબજોનો ચૂનો લગાવી ફરાર થઈ જનારા લોનધારકોની યાદી લાંબી છે. આ મામલે નાણા મંત્રાલય વતી ટોચના 50 વિલફૂલ ડિફોલ્ટર્સની યાદી જાહેર કરવામાં આવી હતી. આ લોકો પર તમામ બેંકોના 87295 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. તેમાં સૌથી ઉપર મેહુલ ચોક્સી અને ઋષિ અગ્રવાલ જેવા નામ સામેલ છે. નાણા રાજ્યમંત્રી ડૉક્ટર ભાગવત સિંહ કરાડે રાજ્યસભામાં આ આંકડા જાહેર કર્યા હતા.
રાજ્યસભામાં જાણકારી આપતાં નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે જણાવ્યું કે મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ સહિત ટોપ 50 વિલફૂલ ડિફોલ્ટરો પર બેન્કોના 87,295 કરોડ રુપિયા લેવાના નીકળે છે. રાજ્યમંત્રીએ રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના લેખિત જવાબમાં કહ્યું કે આ જાણીજોઈને લોન ન ચૂકવનારાઓમાંથી ટોપ-10 પર અનુસૂચિત વાણિજ્યક બેન્કો (એસસીબી) ના 40,825 કરોડ રુપિયા લેવાના નીકળે છે.
ગત પાંચ વર્ષના આંકડા રજૂ કરતાં નાણા રાજ્યમંત્રી ભાગવત સિંહ કરાડે કહ્યું કે એસસીબીએ આ મુદ્દત દરમિયાન 10,57,326 કરોડ રુપિયાની કુલ લોન માફ કરી છે એટલે કે તેને એનપીએમાં નાખી દીધી છે. તેમ છતાં તેની આટલી રકમ હજુ સુધી તેણે ઉઘરાવવાની જ બાકી છે. જેનો લગભગ તેને ચૂનો લાગી ગયો છે. તેની સાથે જ આ જાણી જોઈને લોન ન ચૂકવનારા ભાગેડુઓમાં મેહુલ ચોક્સીની ગીતાંજલિ જેમ્સ સૌથી મોટી ડિફોલ્ટર છે જેના પર બેન્કોનું 8,738 કરોડ રુપિયાનું દેવું છે.
અન્ય ડિફોલ્ટરોની વાત કરીએ તો મેહુલ ચોક્સી બાદ ઋષિ અગ્રવાલની એબીજી શિપયાર્ડ લિમિટેડ), આરઈઆઈ એગ્રો લિમિટેડ અને એરા ઈન્ફ્રા એન્જિનિયરિંગ લિમિટેડનું નામ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *