અંજુ સાથે નિકાહથી પાકિસ્તાની નસરુલ્લાહને લોટરી લાગી

Spread the love

થોડા દિવસ પહેલા પાકિસ્તાનના બે બિઝનેસમેને નસરુલ્લાહને પ્લોટ અને ચેક સહિતની કેટલીક ગિફ્ટ પણ આપી


ઈસ્લામાબાદ
રાજસ્થાનના અલવર જિલ્લાની અંજુ, જે પહેલા ભિવાડીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે નોકરી કરતી હતી તે હાલ પાડોશી દેશમાં રહેતા પ્રેમી સાથેના સંબંધોના કારણે ચર્ચામાં છે. ભારતની સીમા ઓળંગનારી અંજુ પાકિસ્તાનમાં ફરી રહી છે. હાલમાં જ અંજુ અને નસરુલ્લાહને ઈસ્લાબાદમાં એક બિઝનેસમેને ભેટ આપી હોવાનું સામે આવ્યું હતું. હવે, ત્યાંની સ્થાનિક ચેનલમાં આપેલા ઈન્ટરવ્યૂમાં બંનેએ નિકાહ કરી લીધા હોવાની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના બિઝનેસમેન ઈસ્મામ કબૂલ કરવા પર અંજુને જે પ્રમાણે ભેટ આપી રહ્યા છે તે જોતા નસરુલ્લાહની તો ઘરે બેઠા લોટરી લાગી ગઈ તેમ ચોક્કસથી કહી શકાય. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે, પાકિસ્તાનના બિઝનેસમેનથી લઈને બ્યૂરોક્રેટ અને નેતા પણ અંજુના ખબરમાં રહેવાનો ફાયદો ઉઠાવી રહ્યા છે.
અંજુ સાથે નિકાહ કરી નસરુલ્લાહના નસીબ આડેથી પાંદડું હટી ગયું છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાનના બે બિઝનેસમેન અપર દીપ સ્થિત નસરુલ્લાહના ઘરે પહોંચીને બંનેને લગ્નની શુભકામના પાઠવી હતતી. આ દરમિયાન તેમને પ્લોટ અને ચેક સહિતની કેટલીક ગિફ્ટ પણ આપવામાં આવી હતી. તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. લેટેસ્ટ ખબર પ્રમાણે, હવે ઈસ્લામાબાદમાં રહેતા એક વેપારી રાઝા મુહમ્મદ તાબિશે કપલને ચેક અને અન્ય ગિફ્ટ આપી સુખી લગ્નજીવનના અભિનંદન પાઠવ્યા છે.
એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલના રિપોર્ટરે અંજુ અને નસરુલ્લાહ સાથે વાતચીત કરી હતી અને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘હું અત્યારે અંજુ સાથે છું, જે હવે ફાતિમા છે’. આ દરમિયાન અંજુએ પાકિસ્તાનના લોકો તરફથી મળી રહેલા પ્રેમ માટે તે ખુશ હોવાનું કહ્યું હતું અને કાયમ માટે ત્યાં જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, તેણે પાકિસ્તાન વિશે અત્યારસુધીમાં જે કંઈ સાંભળ્યું હતું તેનાથી દેશ એકદમ અલગ છે. અંજુના વિઝા 20 ઓગસ્ટે ખતમ થઈ રહ્યા છે. તેવામાં માનવામાં આવી રહ્યું છે કે, તે અને નસરુલ્લાહ પાકિસ્તાન સરકાર સમક્ષ વિઝા વધારવાની અપીલ કરવા માટે ઈસ્લામાબાદ ગયા છે. ત્યાંની ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં નસરુલ્લાહે અંજુ સાથે તેની મિત્રતા કેવી રીતે થઈ તે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘2019માં સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી વાત શરૂ થઈ હતી. જ્યારે અંજુ ભારતથી આવી તો તેના પરિવારજનોએ ખુશી-ખુશી તેનો સ્વીકાર કરી લીધો અને તેમને આ સંબંધ પ્રત્યે કોઈ નારાજગી નથી’. એક પાકિસ્તાની યૂટ્યૂબર સાથે વાત કરતાં નસરુલ્લાહે કહ્યું હતું કે, જ્યારે તેણે અંજુને અપર દીરના વીડિયો અને તસવીરો મોકલ્યા તો તે ત્યાં જવાના સપના જોવા લાગી હતી. આમ બંનેની લવ સ્ટોરી આગળ વધી હતી. જણાવી દઈએ કે, પાકિસ્તાન જવા માટેના વિઝા અંજુને 4 મેના રોજ મળ્યા હતા. તે વાઘા બોર્ડરથી પાકિસ્તાનમાં પ્રવેશી હતી. તે નસરુલ્લાહને મળવા માટે ખૈબર પખ્તુનખ્વા પહોંચી હતી. નસરુલ્લાહ વ્યવસાયે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ છે. અંજુ પહેલાથી જ પરિણીત હતી અને તેને 16 વર્ષની દીકરી અને 10 વર્ષનો દીકરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *