ઈન્ડિયા ગઠબંધનની ત્રીજી બેઠકમાં 26થી વધુ રાજકીય પક્ષોના લગભગ 80 નેતાઓના સામેલ થવાની આશા
મુંબઈ
વિપક્ષી દળોના ગઠબંધન ઈન્ડિયાના લોગોનું અનાવરણ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાનાર ગઠબંધનની બેઠક દરમિયાન થવાની શક્યતા છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે દેશની નાણાકીય રાજધાનીમાં ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈનક્લૂઝિવ એલાયન્સ (ઈન્ડિયા) ગઠબંધનની ત્રીજી બેઠકમાં 26થી વધુ રાજકીય પક્ષોના લગભગ 80 નેતાઓના સામેલ થવાની આશા છે.
સૂત્રોએ જણાવ્યું કે હાલમાં 26 પક્ષો આ ગઠબંધનનો હિસ્સો છે અને બે દિવસની બેઠક દરમિયાન અમુક અન્ય પક્ષો પણ ગઠબંધનમાં સામેલ થવા તૈયાર છે. તેમણે જણાવ્યું કે ગઠબંધનના પ્રતીક ચિહ્ન (લોગો) નું અનાવરણ એક સપ્ટેમ્બરે ચર્ચા વિચારણાની શરૂઆત પહેલાં કરી શકાય છે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના રાજ્ય અને મુંબઈ એકમો દ્વારા વિપક્ષી દળોના નેતાઓ માટે લંચની વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા 31 ઓગસ્ટે જ મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં આવનારા નેતાઓ માટે ડીનરનું આયોજન કરવામાં આવી શકે છે.