ચંદ્રયાન-3-આદિત્યની સફળતા બાદ ઈસરોની નજર ગગનયાન-1 મિશન પર

Spread the love

ગગનયાન-1 મિશન હેઠળ ભારત પહેલી વખત માનવીને અંતરિક્ષમાં મોકલશે, આ એક અત્યંત જટિલ અને જોખમી મિશન હશે


નવી દિલ્હી
ભારતે અંતરિક્ષમાં પોતાની કેપેસિટી સાબિત કરવા માટે વધુ એક મિશન પર કામ શરૂ કરી દીધું છે. આ વખતે ભારત અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલશે. તેના ભાગરૂપી એસ્ટ્રોનોટ્સને તાલીમ આપવામાં આવી છે જેમણે ત્રણ દિવસ સુધી સ્પેસમાં રહેવાનું રહેશે. પ્રોજેક્ટમાં કોઈ ખામી ન રહી જાય તે માટે ક્વોલિટી કન્ટ્રોલના ચૂસ્ત ધોરણો લાગુ કરવામાં આવશે.
ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઈસરોએ તાજેતરમાં બે મોટી સફળતાઓ મેળવ્યા પછી તેણે વધુ એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે તૈયારી આદરી દીધી છે. ગયા મહિને ભારતે ચંદ્રયાન-3ને ચંદ્રના સાઉથ પોલ પર સફળ રીતે ઉતરાણ કરાવ્યું હતું. ત્યાર પછી સૂર્યના સંશોધન માટે આદિત્ય એલ-1ને પણ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. હવે ઈસરોની નજર ગગનયાન-1 મિશન પર છે. ગગનયાન-1 મિશન હેઠળ ભારત પહેલી વખત માનવીને અંતરિક્ષમાં મોકલશે.
આ એક અત્યંત જટિલ અને જોખમી મિશન હશે. આ પ્રોજેક્ટ માટે પ્રિસિઝન ટૂલ્સ અને કમ્પોનન્ટ બનાવવાનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. સીટીસીસી ભુવનેશ્વર ખાતે આ ટૂલ્સ બનાવવામાં આવી રહ્યા છે. ભારતના અંતરીક્ષ કાર્યક્રમમાં ગગનયાન 1 મોટી સિદ્ધિ ગણાશે.
ગગનયાન એ માનવીને સ્પેસમાં મોકલવાનો પ્રોગ્રામ હશે તેથી તેમાં ખાસ કાળજી રાખવી પડશે અને કોઈ પણ જગ્યાએ જરાય ચૂક ન થાય તે જોવાનું રહેશે. ટોચના અધિકારીઓએ જણાવ્યું કે ગગનયાન માટે જુદી જુદી સિસ્ટમ બનાવવા માટે જે સ્પેશિયલ મેટલ અને એલોયની જરૂર પડે છે તે બધું ઈસરોને ડિલિવર કરી દેવાયું છે. ગગનયાન હેઠળ અંતરિક્ષમાં રોકેટ મોકલતા પહેલાં તમામ સાધનોનું પરીક્ષણ કરવામાં આવશે.
ગગનયાન માટે કોઈ ચીજમાં કચાશ ન રહી જાય તે માટે રો મટિરિયલમાં 100 ટકા શુદ્ધતા હોવી જરૂરી છે. તેથી ક્વોલિટી કન્ટ્રોલ અંગે ખાતરી થાય ત્યાર પછી જ આ મિશનને રવાના કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં સ્વતંત્રતા દિવસની સ્પીચમાં કહ્યું હતું કે ભારત ગગનયાન દ્વારા માનવીને અંતરિક્ષમાં મોકલવાની યોજના ધરાવે છે. તે સમયે ગગનયાનને 2022માં લોન્ચ કરવાની યોજના હતી, પરંતુ કોવિડના કારણે યોજનાને અસર થઈ હતી. હવે 2024ની શરૂઆતમાં જ ગગનયાન-1 અંતરિક્ષમાં જાય તેવી સંભાવના છે. ગયનયાન મિશન માટે અંતરિક્ષયાત્રીઓને જરૂરી ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. અંતરિક્ષયાત્રીઓ ત્રણ દિવસ સ્પેસમાં વિતાવશે.
ગગનયાનમાં માનવીને સ્પેસમાં મોકલવામાં આવે તે અગાઉ તેનો ડ્રાય રન કરવામાં આવશે. તેમાંથી એક ડ્રાય રન પેલોડ સાથે હશે અને એક ડ્રાય રન પેલોડ વગર હશે. બેંગલુરુ સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ખાતે ગગનયાન માટે બાયોલોજિકલ પેલોડ વિકસાવવામાં આવી રહ્યો છે.
ગગનયાન માટેના બાયોલોજિકલ પેલોડમાં એક બોક્સમાં બેક્ટેરિયા ડેવલપ કરાયા છે. તેના દ્વારા અંતરિક્ષમાં જીવન પર કેવી અસર થાય છે તે જાણવામાં આવશે. આદર્શ રીતે આ બેક્ટેરિયા પર ચંદ્ર અથવા મંગળ પર સ્ટડી થવો જોઈએ, પરંતુ હાલ પૂરતો લો-અર્થ ઓર્બિટમાં અભ્યાસ કરવામાં આવશે. ભારતીય સ્પેસ પ્રોગ્રામ હવે પરંપરાગત નથી રહ્યો, પરંતુ તેમાં વિજ્ઞાનની ઘણી શાખાઓ જોડાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *