એફબીઆઈ જેવી અને મુખ્ય એજન્સીઓને તાળા મારી દઈશ, 16 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઈ શકે છે

વોશિંગ્ટન
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી વતી ઉમેદવારોની દાવો ઠોકનારા ભારતીય મૂળના અમેરિકી વિવેક રામાસ્વામીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો હું 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી જઈશ તો ફેડરલ વર્કફોર્સના 75% થી વધુ લોકોને નોકરીથી કાઢી મૂકીશ અને એફબીઆઈ જેવી અને મુખ્ય એજન્સીઓને તાળા મારી દઈશ.
એક ઈન્ટરવ્યૂમાં રામાસ્વામીએ મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે હું સૌથી પહેલાં શિક્ષણ વિભાગ, એફબીઆઈ, દારૂ, તંબાકુ, બ્યુરો ઓફ ફાયરઆર્મ્સ એન્ડ એક્સપ્લોઝિવ્સ, પરમાણુ નિયામક આયોગ (આંતરિક મહેસૂલ સેવા), આઈઆરએસ અને વાણિજ્ય વિભાગને નિશાને લઈશ.
તેમણે કહ્યું કે અમે પહેલા દિવસથી જ શરૂઆત કરીશું અને એક વર્ષના અંત સુધીમાં 50%નો કાપ મૂકવાનું અમારું લક્ષ્ય છે. રામસ્વામીએ કહ્યું કે એ ધ્યાનમાં રાખજો કે તેમાંથી 30% કર્મચારી આગામી પાંચ વર્ષમાં સેવાનિવૃત્ત થવાને પાત્ર છે. તેમણે કહ્યું કે તેમાં કોઇ શંકા નથી પણ આ એટલી મેડનેસ નથી જેટલી લાગી રહી છે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામાસ્વામીએ કહ્યું કે તેમનું લક્ષ્ય ચાર વર્ષમાં 22 લાખ કર્મચારીઓમાંથી 75 ટકાને હટાવવાનો છે. એક અહેવાલ અનુસાર ફેડરલ વર્કફોર્સમાં લગભગ 22 લાખ 50 હજાર લોકો કામ કરે છે. 75 ટકાથી વધુ કર્મચારીઓને હટાવવાના પરિણામસ્વરૂપે 16 લાખથી વધુ લોકોની રોજગારી છીનવાઈ શકે છે. જેનાથી સંઘીય બજેટમાં અબજો ડૉલરની બચત થશે. જોકે તેનાથી સરકારના મહત્ત્વપૂર્ણ કામકાજ અટકી શકે છે.