વર્તમાન પેન્શનમાં કર્મચારીઓને છેલ્લા પગારના લગભગ 38% સુધી પેન્શન, 40% પેન્શન સુનિશ્ચિત કરાય તો તેના પર 2% રકમનો વધારાનો બોજ પડશે

નવી દિલ્હી
કેન્દ્ર સરકાર હાલની નેશનલ પેન્શન સ્કીમ (એનપીએસ)માં મોટા ફેરફારો કરવા પર વિચાર કરી રહી છે. આ હેઠળ લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના 40-45% સુધી હોઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે એપ્રિલ મહિનામાં જૂની પેન્શન યોજના (ઓપીએસ)ની સમીક્ષા કરવા માટે નાણાં સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી.
કેન્દ્રએ વર્ષ 2004થી ઓપીએસ નાબૂદ કરીને એનપીએસ લાગુ કર્યું હતું. આ હેઠળ કર્મચારી તેના મૂળ પગારના 10% તો સરકાર પેન્શન ફંડમાં 14% યોગદાન આપે છે. એનપીએસની રકમનું બજારમાં રોકાણ કરવામાં આવે છે અને તેના રિટર્નના આધાર પર પેન્શનની રકમ નિર્ભર કરે છે. બીજી તરફ ઓપીએસ હેઠળ લઘુત્તમ પેન્શન છેલ્લા પગારના 50% છે.
વર્તમાન પેન્શનમાં કર્મચારીઓને છેલ્લા પગારના લગભગ 38% સુધી પેન્શન મળે છે. જો સરકાર 40% પેન્શન સુનિશ્ચિત કરે તો તેના પર 2% રકમનો વધારાનો બોજ પડશે. જો કે, જો બજારમાં રોકાણ પરનું વળતર ઘટશે તો પેન્શનના કારણે સરકાર પર બોજ વધશે. નાણા મંત્રાલય એવો રસ્તો અપનાવવા માંગે છે જેના હેઠળ પેન્શનનો બોજ સરકાર પર ઓછામાં ઓછો પડે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરકાર જે પેન્શન સ્કીમ લાવશે તેને મોંઘવારી ભથ્થા સાથે જોડવામાં નહીં આવશે.
વિપક્ષ શાસિત રાજ્યોમાં જૂના પેન્શનના અમલને કારણે દબાણ વધ્યું છે. રાજસ્થાન, પંજાબ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં ઓપીએસ લાગુ કરવાની જાહેરાત બાદ કેન્દ્ર પર બીજી આકર્ષક પેન્શન યોજના લાવવાનું દબાણ વધ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર નવી યોજનાની જાહેરાત કરી શકે છે.