ગુજરાતના ‘અનસંગ હીરોઝ’ને વિકાસ અસ્મિતા એવોર્ડ્સથી સન્માનિત કરાયા
અમદાવાદ:
નોર્થ અમેરિકન ઇન્ડિયન્સ, નૉલેજ પ્લસ ફાઉન્ડેશન અને એલ.જે. યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શહેરના અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે “ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ” તેમજ પુસ્તક વિમોચન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતના પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવાનો અને આવનારી પેઢીને પ્રેરિત કરવાનો હતો.


ભવ્ય ઉપસ્થિતિ અને મહાનુભાવોનું માર્ગદર્શન
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ સભ્ય નરહરિ અમીન, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર, અમિત શાહ, વડોદરાથી પધારેલા દ્વારકેશ લાલજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, એલ.જે. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. મનીષ શાહ, બોલિવૂડના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક દીપક તિજોરી, જાણીતા સમાજસેવી તથા પત્રકાર વિષ્ણુ પંડ્યા, કાર્યક્રમની સારસંભાળ રાખનાર ભાવેશ ઉપાધ્યાય તેમજ વૈશ્વિક મૅનેજમેન્ટ ચિંતક તરીકે ડૉ. શૈલેષ ઠાકરે ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
વતનની માટી સાથે જોડાયેલા અસલી હીરોઝનું સન્માન
કાર્યક્રમ દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કરતા ગ્લોબલ મૅનેજમેન્ટ થિંકર ડૉ. શૈલેષ ઠાકરે જણાવ્યું હતું કે, “વતનની માટી સાથે જોડાયેલા આ લોકો ગુજરાતનો સાચો ખજાનો છે. સમાજમાં શાંતિપૂર્વક અને નિસ્વાર્થ ભાવે ઉત્કૃષ્ટ કાર્ય કરતા આવા લોકોના કામને બિરદાવી તેમને સન્માનિત કરવા એ આપણી નૈતિક ફરજ છે.”
રાજ્ય અને દેશના વિવિધ શહેરોના અનસંગ હિરોઝનું બહુમાન
આ ભવ્ય સમારોહમાં રાજકોટ, સુરત, અમરેલી, મુંબઈ, જામનગર, વડોદરા, ગાંધીનગર અને અમદાવાદ જેવા પ્રમુખ શહેરોમાંથી વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર ‘અનસંગ હીરોઝ’ ને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત કાર્યો કરનાર આ પ્રતિભાઓના સન્માનથી ઉપસ્થિત સૌ કોઈ ગૌરવાન્વિત થયા હતા.
