માતૃ વંદનાઃ હરિદ્વારમાં ભાગવદ કથાનો સાતમો દિવસઃ સુદામા સાથે કૃષ્ણના મિલન આડેના વિઘ્નોથી લઈને પારઘી દ્વારા છોડાયેલા તીરથી વિંધાઈને કૃષ્ણના સમાધિસ્થ થવાના પ્રસંગોને શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે એ રીતે વર્ણવ્યા કે શ્રોતાઓની આંખોમાં આંસુ આવી ગયા
હરિદ્વાર
કૃષ્ણ દ્વારકાના નાથ તરીકે ફરજ બજાવવા સાથે પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે ત્યાં તેમના બાળપણના સખા (મિત્ર) સુદામાં પત્નીના ભારે આગ્રહ બાદ પરમમિત્રને મળવા દ્વારકા રવાના થાય છે અને ભગવાન રાતવાસો કરી રહેલા મિત્રને પોરબંદથી સીધા દ્વારકા પહોંચાડી દે છે. અજાણી નગરીમાં સુદામાં તેમના સખાને મળવા દરદર ભટકે છે અને અંતે મહેલ નજીક પહોંચ્યા બાદ કૃષ્ણને મળવા દ્વારપાલોને આજીજી કરે છે. એક દ્વારપાલ તેમને ધક્કો મારીને પછાડી દે છે. સુદામાના માથાથી લોહી વહે છે. અંતે એક દ્વાર પાલ સાથે મિત્ર સુદામાં આવ્યા છે એવું કહેણ મોકલાવે છે.
સામાન્ય રીતે કોઈને મળવા ન આવતા કૃષ્ણ સુદામાનું નામ સાંભળીને તેમને મળવા દોટ મુકે છે અને મળતાની સાથે તેમને ઊંચકી લે છે. સુદામાં રોકાય છે ત્યાં સુધી કૃષ્ણ તેમને સારું ખવડાવે છે, સારા વસ્ત્રો પહેરાવે છે પણ મિત્ર શા માટે આવ્યો છે એ પુછતા સુદ્ધાં નથી. છેવટે વિદાય લેતા સુદામાં પાસેથી પોતાનો જામો ઊતરાવીને જે મેલા વસ્ત્રોમાં સુદામાં આવ્યા હતા એ જ પહેરાવીને પાછો પોરબંદર મોકલે છે.
પોરબંદર પહોંચવા સાથે સુદામાને બધું બદલાઈ ગયું હોય એમ લાગે છે. પત્ની બાળકો દેખાતા નથી. પત્ની મકાનના સાતમા માળેથી સાદ આપીને સુદામાને બોલાવે છે. બાળકો પણ સુસજ્જ જોવા મળે છે. સુદામાને મિત્રએ કરેલી મદદનું ભાન થાય છે. કૃષ્ણ સુદામાને સ્વપ્નમાં દર્શન આપીને કહે છે કે પોતાની આઠ
પત્નીઓની હાજરીમાં તેઓ મિત્રને મદદ કરત તો મિત્રએ નીચે જોવું પડયું હોત તેથી તેમણે આ દાન ગુપ્ત રીતે આપ્યું છે.
કૃષ્ણ પુત્રોએ કરેલી ભૂલના કર્મને કૃષ્ણએ ભોગવવાનું આવે છે અને એક પારઘીના છોડેલા તીરથી કૃષ્ણનો પગ વિંધાય છે અને કૃષ્ણ સમાધિસ્થ થાય છે. આ પ્રસંગ સાથે ભાગવત કથા વિરામ લે છે.
હરિદ્વાર
સાતમા દિવસે મુખ્ય પુજામાં યજમાન સવિતાબહેન રેવનદાસના મોટા પુત્ર નવીન પંચાલ બેઠા હતા. કથાના સાતેય દિવસ વ્યાસપીઠેથી શાસ્ત્રી જયેન્દ્ર વ્યાસે કથાનું રસપાન કરાવ્યું તથા નીમેષ ત્રિવેદીએ કી બોર્ડ સાથે સુંદર ભજનો, ગરબા અને પ્રાંસગિક લગ્ન ગીતો રજૂ કર્યા જેમાં ઢોલ પર અજય ગડિયા તથા ટ્રમપેડ પર સંજય મહાજન (ગીરી)એ સાથે આપ્યો અને સાઉન્ડ એરેન્જમેન્ટ વરૂણ શર્માએ કરી હતી. સમગ્ર કાર્યક્રમના વીડિયોનું યોગ્ય રીતે સંયોજન કરવાની કામગીરી નવીનભાઈના બે ભાણા ઓમ અને વિશ્વેશે કરી હતી જેના લીધે જ સમગ્ર કથાને યુટ્યુબ પર સારી રીતે,વેળાસર મુકવાનું શક્ય બન્યું હતું.
ભાવિકોને સાત દિવસ વિતી ગયા એ ખબરેય ન પડી
પંચાલ પરિવારના સભ્યો અને મિત્રોએ હરિદ્વારના કનખલ ખાતેના નારાયણી આશ્રમમાં કથાને સાત દિવસ સુધી એકચિત્તે પ્રભુ ભક્તિમાં તલ્લિન થઈને માણી. સાતમા અને છેલ્લા દિવસે કથાને વિરામ અપાતા ભાવિકો ગમગીન બન્યા હતા. તેઓ આ સાત દિવસનો સમય કેટલો મોજમાં ગયો એના પ્રસંગોને વાગોળીને બધા છૂટા પડ્યા હતા.
