સુરત
આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૭.૪૫ કરોડના ખર્ચે નવનિર્મિત વેલંજા પ્રાથમિક શાળા નં. ૩૭૯ ના નવા ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ પ્રોજેક્ટ હેઠળ વેલંજા ચોકડી પાસે ૩૦ નવા અત્યાધુનિક ક્લાસરૂમ સાથેની આધુનિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મંત્રી પ્રફુલપાનશેરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતનું શિક્ષણ માળખું વૈશ્વિક સ્તરનું બની રહ્યું છે. કામરેજ વિધાનસભા વિસ્તારના બાળકોને ઘર આંગણે શ્રેષ્ઠ અને ડિજિટલ શિક્ષણ મળી રહે તે માટે આ ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ આશીર્વાદરૂપ સાબિત થશે. ૩૦ નવા ક્લાસરૂમ્સમાં બાળકોને આધુનિક સુવિધાઓ સાથે ભણવાની તક મળશે, જે સરકારી શાળાઓ પ્રત્યે વાલીઓનો વિશ્વાસ વધુ મજબૂત કરશે.
મંત્રીએ શાળાના નવનિર્મિત ક્લાસરૂમની મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે સુરત મનપાના પદાધિકારીઓ, શિક્ષણ સમિતિના સભ્યો, સંગઠન હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
