સુરત
રાજ્યમાં આયુર્વેદના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને યોગ્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા તત્વો સામે હવે રાજ્ય સરકાર કડક વલણ અપનાવવા જઈ રહી છે. સુરત ખાતે આયુર્વેદિક ડોક્ટરો દ્વારા યોગગુરુ પ્રદીપ જોટંગીયા અને અન્ય નકલી ડોક્ટરો વિરુદ્ધ કરવામાં આવેલી રજૂઆત બાદ રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીરતા દાખવી કડક કાર્યવાહીની ખાતરી આપી છે.
મુખ્ય વિગતો અને આક્ષેપો
યોગગુરુ પ્રદીપ જોટંગીયા નિશાના પર કામરેજ સ્થિત આશ્રમમાં આયુર્વેદના નામે સારવાર આપતા પ્રદીપ જોટંગીયા વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોએ મોરચો માંડ્યો છે. આરોપ છે કે તેઓ યોગ્ય પ્રોફેશનલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રદીપ જોટંગીયા અગાઉ નકલી નોટના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયા હતા અને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
અંધશ્રદ્ધા અને જીવલેણ સારવાર: લેભાગુ તત્વો દ્વારા શરીરમાં સોય ભોંકવી અને દોરા-ધાગા જેવી અંધશ્રદ્ધા ફેલાવી સારવાર કરવાના વીડિયો સામે આવ્યા છે. આવા કિસ્સાઓમાં દર્દીઓના મૃત્યુ થયા હોવાની ઘટનાઓ પણ નોંધાઈ છે.
આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ આયુર્વેદિક ડોક્ટરોની રજૂઆતને ગંભીરતાથી લેતા જણાવ્યું હતું કે:
કડક કાયદાની અમલવારી: રાજ્ય સરકાર આગામી સમયમાં નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવી રહી છે. બજેટ સત્ર દરમિયાન આ અંગેના કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવશે.
આચારસંહિતા બાદ એક્શન: હાલમાં ચૂંટણી આચારસંહિતા અમલી હોવાથી, તે પૂર્ણ થતાની સાથે જ આવા તત્વો સામે તપાસ અને કડક ડ્રાઈવ શરૂ કરવામાં આવશે.
ફરજિયાત રજીસ્ટ્રેશન: તમામ આયુર્વેદિક ડોક્ટરોએ ફરજિયાતપણે નોંધણી (Registration) કરાવવી પડશે. જે લેભાગુ તત્વો પાસે ડિગ્રી કે રજીસ્ટ્રેશન નથી, તેમને બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.
જનતાને અપીલ: મંત્રી પ્રફુલ પાનશેરીયાએ લોકોને અપીલ કરી છે કે અંધશ્રદ્ધામાં ન ફસાવું. સર્પ ડંખ જેવી ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં જ સારવાર લેવી અને માત્ર ડિગ્રી તથા લાયકાત ધરાવતા ડોક્ટરો પાસે જ જવું.
”તમે ફરિયાદ આપો, અમે ચોક્કસ કાર્યવાહી કરીશું. જેની પાસે ડિગ્રી નથી, તેને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો કોઈ અધિકાર નથી. અમારો વિભાગ આ બાબતે અત્યંત ગંભીર અને પ્રયત્નશીલ છે.”
— પ્રફુલ પાનશેરીયા, રાજ્ય આરોગ્યમંત્રી
