અમદાવાદ સાયન્સ સિટીમાં ડાયાલિસિસ દર્દી જાગૃતિ અને અંગદાન સમારોહ અમદાવાદના આર.કે. રોયલ હોલમાં યોજાયો
અમદાવાદ
અમદાવાદ સાયન્સ સિટી રોડ સ્થિત આર.કે. રોયલ હોલમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના અવસરે ડાયાલિસિસ દર્દી જાગૃતિ અને અંગદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મૈરિંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય “પાણી બચાવો – કિડની બચાવો – પર્યાવરણ બચાવો” રહ્યું હતું.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અંગદાન ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર દિલીપ દેશમુખ (દાદા) વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા.
સામાજિક પરિવર્તનનો નવો માર્ગઃ સી.આર. પાટીલ
કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે અંગદાન અને જળ સંચયના સમન્વયથી દેશમાં નવી સામાજિક ક્રાંતિ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે આ બંને ક્ષેત્ર માત્ર આરોગ્ય કે પર્યાવરણ સુધી સીમિત નથી, પરંતુ સમગ્ર સમાજના ભવિષ્ય સાથે સીધા જોડાયેલા છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જળ સંચય હવે માત્ર સરકારની યોજના નથી, પરંતુ એક જનઆંદોલન બની ચૂક્યું છે. પાણી મેળવવું આપણો અધિકાર છે, પરંતુ તેની બચત કરવી આપણી ફરજ છે, એમ તેમણે ઉમેર્યું.
જળ એ ફિક્સ ડિપોઝિટ છેઃ પાટીલ
પાટીલે ભૂગર્ભ જળને ફિક્સ ડિપોઝિટ સાથે સરખાવતા કહ્યું કે જેમ એફડીનું મૂળ ધન તોડવું ન જોઈએ, તેમ જમીનનું પાણી પણ માત્ર જરૂરિયાત મુજબ જ વાપરવું જોઈએ. તેમણે ચેતવણી આપી કે જો આપણે આજે પાણીનો અતિરેક ઉપયોગ કરીશું તો આવનારી પેઢી માટે ગંભીર સંકટ ઊભું થશે.
તેમણે જણાવ્યું કે કેચ ધ રેન જેવી પહેલો દેશભરમાં જળ સંચયને નવી દિશા આપી રહી છે. લાખો લોકોની ભાગીદારીથી કરોડો જળ સંચય સ્ટ્રક્ચર્સ તૈયાર થયા છે, જે ભારતની સૌથી મોટી જનભાગીદારી આધારિત પર્યાવરણ ચળવળ છે.
અંગદાન અને કિડની આરોગ્ય પર વિશેષ ભાર
કાર્યક્રમમાં ડાયાલિસિસ અને કિડની રોગો અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ જણાવ્યું કે કિડની ફેલ્યોર ધરાવતા દર્દીઓ માટે ડાયાલિસિસ જીવનરક્ષક ઉપચાર છે, પરંતુ યોગ્ય દર્દીઓ માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ લાંબા ગાળે વધુ અસરકારક વિકલ્પ સાબિત થઈ શકે છે.
ડૉ. મયુર પાટીલે જણાવ્યું કે ટ્રાન્સપ્લાન્ટેશન માત્ર દર્દીના જીવનની ગુણવત્તા સુધારે છે નહીં, પરંતુ વારંવાર ડાયાલિસિસમાં થતા પાણી અને સાધનોના ઉપયોગને ઘટાડીને પર્યાવરણીય ભાર પણ ઘટાડે છે.
દિલીપ દેશમુખ (દાદા)નું પ્રેરણાદાયી જીવન
કાર્યક્રમમાં દિલીપ દેશમુખ (દાદા)ના અંગદાન ક્ષેત્રે કરાયેલા કાર્યોને વિશેષ રીતે બિરદાવવામાં આવ્યા. વર્ષ 2020માં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ નવું જીવન મળ્યા પછી તેમણે પોતાનું જીવન અંગદાન જાગૃતિ અને સમાજસેવા માટે સમર્પિત કર્યું છે.
તેમની સફર અનેક દર્દીઓ અને સમાજ માટે પ્રેરણારૂપ બની છે. મંચ પર ઉપસ્થિત તબીબો અને અગ્રણીઓએ તેમના યોગદાનને “જીવનદાનથી સમાજદાન” તરીકે ઓળખાવ્યું.
નિષ્ણાતોના અભિપ્રાયો અને પર્યાવરણીય દ્રષ્ટિકોણ
ડૉ. સિદ્ધાર્થ માવાણીએ જણાવ્યું કે સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન દર્દીના જીવનમાં ક્રાંતિકારી ફેરફાર લાવે છે અને આરોગ્ય સેવાઓ પરનો લાંબા ગાળાનો ભાર ઘટાડે છે.
તેમણે ઉમેર્યું કે ડાયાલિસિસ પ્રક્રિયામાં પાણી અને બાયોમેડિકલ વેસ્ટનો ઉપયોગ થાય છે, તેથી ઓર્ગન ડોનેશન જાગૃતિ પર્યાવરણીય દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વપૂર્ણ છે.
મયુર દવેએ જણાવ્યું કે આ પહેલ હેલ્થકેર અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ મજબૂત બનાવે છે અને સમાજને વધુ જવાબદાર બનાવે છે.
ડાયાલિસિસ વોરિયર્સ અને દાતાઓનું સન્માન
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ડાયાલિસિસ દર્દીઓ, કિડની ટ્રાન્સપ્લાન્ટ રિસિપિયન્ટ્સ અને કેડેવર ડોનર પરિવારોનું સન્માન રહ્યું હતું. તેમની હિંમત, સંઘર્ષ અને સમાજ માટેના યોગદાનને ઉપસ્થિત મહેમાનો દ્વારા સલામ કરવામાં આવી હતી.
દરેક નાગરિક બને પરિવર્તનનો ભાગઃ પાટીલ
સમાપન પ્રસંગે સી.આર. પાટીલે નાગરિકોને અપીલ કરી કે તેઓ માત્ર દર્શક ન રહે, પરંતુ અંગદાન અને જળ સંચયના સક્રિય પ્રચારક બને. તેમણે કહ્યું કે જો સમાજ એકસાથે આગળ વધશે તો ભારત પાણી સંકટ અને આરોગ્ય પડકારોથી સંપૂર્ણપણે સુરક્ષિત બની શકે છે.
