અનંત અંબાણી દ્વારા સ્થપાયેલી વનતારાની આ પહેલ હવે હાથીઓના કલ્યાણ, મહાવતોને સહયોગ અને સંરક્ષણ માટેનું વૈશ્વિક મિશન બની ચૂકી છે
જામનગર (ગુજરાત)
અનંત અંબાણી દ્વારા સ્થાપિત વનતારાએ ‘વિશ્વ હાથી દિવસ’ નિમિત્તે હાથી કલ્યાણ, સંરક્ષણ શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ ક્ષેત્રે ચાલી રહેલા પોતાના કાર્યોને ઉજાગર કર્યા છે. 260થી વધુ એશિયાઈ હાથીઓનું ઘર વનતારા આજે વિશ્વના અગ્રણી હાથી કલ્યાણ કેન્દ્રોમાંનું એક બની ચૂક્યું છે, જે ઉગારાયેલા પ્રાણીઓને ગરિમાપૂર્ણ જીવન પૂરું પાડે છે.
હાથી ગામ, જયપુર ખાતે કલ્યાણકારી પ્રવૃત્તિઓ
રાજસ્થાનના જયપુર સ્થિત ‘હાથી ગામ’ ખાતે હાથીઓની સારસંભાળમાં સુધારો કરવા માટે વનતારા અને રાજસ્થાન સરકાર વચ્ચે સહયોગની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલ હેઠળ અત્યાધુનિક ‘એલિફન્ટ ટ્રીટમેન્ટ એન્ડ કેર ફેસિલિટી’ સ્થપાઈ રહી છે, જેમાં અદ્યતન હોસ્પિટલ, ન્યુટ્રિશન સેન્ટર, હાઇડ્રોથેરાપી અને વૃદ્ધ હાથીઓ માટેનું ‘રિટાયરમેન્ટ એન્ડ કેર સેન્ટર’ સામેલ છે.
રાષ્ટ્રીય હાથી કલ્યાણ વિસ્તાર કાર્યક્રમ
વનતારાએ અસમ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા અને આંદામાન-નિકોબારના 8 સ્થળો પર રાજ્ય વન વિભાગોના સહયોગથી ‘એલિફન્ટ વેલફેર આઉટરીચ પ્રોગ્રામ’ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કાર્યક્રમ દ્વારા 182 હાથીઓના સ્વાસ્થ્ય અને 242 મહાવતોની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં વેટરનરી કિટ્સ અને પોષણક્ષમ આહારનું વિતરણ કરાયું હતું.
“માય ફ્રેન્ડ લીલાવતી” સોશિયલ મીડિયા અભિયાન
બાળકોમાં સહાનુભૂતિ કેળવવા માટે વનતારાએ “માય ફ્રેન્ડ લીલાવતી” અભિયાન શરૂ કર્યું છે. સર્કસની આગમાં ગંભીર રીતે દાઝી ગયા બાદ વનતારામાં આશરો મેળવનાર ‘લીલાવતી’ હાથીની વાર્તા બાળકોને દયા અને કરુણાનો સંદેશ આપે છે. વિજેતા બાળકોને વનતારાની મુલાકાત લેવાની અને લીલાવતીને મળવાની તક મળશે.
માનવ-હાથી સંઘર્ષ નિવારવા વૈશ્વિક સહયોગ
માનવ-હાથી સંઘર્ષ રોકવા માટે વનતારા ‘એલિફન્ટ પ્રોટેક્શન ઇનિશિયેટિવ (EPI) ફાઉન્ડેશન’ને આર્થિક અનુદાન આપી રહ્યું છે. માર્ચ 2027માં બેંગકોક ખાતે યોજાનારી ‘ફર્સ્ટ ગ્લોબલ હ્યુમન એલિફન્ટ કોન્ફ્લિક્ટ સમિટ’માં એશિયા અને આફ્રિકાના નિષ્ણાતો ભાગ લેશે. જમીની સ્તરે વનતારા રેપિડ-રિસ્પોન્સ વેટરનરી ટીમો અને થર્મલ ડ્રોન સર્વેલન્સ દ્વારા લાંબાગાળાના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપી રહી છે.
