પેલેસ્ટિની વિસ્તારમાં અથડામણો ફાટી નીકળ્યા બાદ ગાઝાના ઘણા રહેવાસીઓએ ચર્ચમાં આશરો લીધો હતો

તેલઅવિવ
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં લગભગ પાંચ હજારથી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ દરમિયાન મંગળવારે ગાઝાની અલ-અહલી હોસ્પિટલ પર થયેલા હુમલામાં 500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા માટે હમાસ અને ઈઝરાયલ એકબીજાને જવાબદાર ગણાવી રહ્યા છે ત્યારે હમાસે ઈઝરાયલ પર વધુ એક આરોપ મૂક્યો છે. માહિતી અનુસાર હવે ઈઝરાયેલ પર ચર્ચના પરિસરમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
હમાસના નિયંત્રણ હેઠળના ગૃહ મંત્રાલયનું કહેવું છે કે ગુરુવારે મોડી રાત્રે થયેલા હુમલામાં ગાઝા પટ્ટીમાં એક ચર્ચમાં આશ્રય લેનારા અનેક લોકો માર્યા ગયા હતા. મંત્રાલયે કહ્યું કે ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચના પરિસરમાં થયેલા હુમલામાં મોટી સંખ્યામાં જાનહાનિ થઇ છે. સેંકડોની સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનો દાવો કરાયો છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે પેલેસ્ટિની વિસ્તારમાં અથડામણો ફાટી નીકળ્યા બાદ ગાઝાના ઘણા રહેવાસીઓએ ચર્ચમાં આશરો લીધો હતો. એવું લાગે છે કે આ હુમલો કોઈ ધાર્મિક સ્થળ નજીક જઈને કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે અમે આ કથિત હુમલાની તપાસ કરી રહ્યાં છીએ.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને હવે 14 દિવસ થઈ ગયા છે. બંને તરફથી થઈ રહેલા હુમલામાં અત્યાર સુધીમાં લગભગ પાંચ હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં એક મોટો આંકડો મંગળવારે હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોનો પણ સામેલ છે.