8 ડિસેમ્બર સુધી આચાર્ય ભગવંતોના નિશ્રામાં વિવિધ કાર્યક્રમો યોજાશે
વાસ્તુદોષ ટાળવા ચૌમુખ ભગવાન અને શ્રીયંત્રની સ્થાપના કરવામાં આવી
અમદાવાદ
જૈન તથા દ્રવિડ શૈલિનાં સમન્વય યુક્ત વિશ્વનું પ્રથમ જીનાલય શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જિનેશ્વરધામમાં 8 ડિસેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. પ.પૂ. ગચ્છાધીપતિ શ્રી કુલચંદ્રસૂરિશ્વરજી મ.સાની પ્રેરણાથી તથા પૂ. પંન્યાસ શ્રી કુલદર્શન વિજયજી મ.સાના માર્ગદર્શનમાં આ ધામનું નિર્માણ કરાયું છે. શ્રી પાર્શ્વ-પ્રેમ ધામ , ગોકુલ સોસાયટી, ડભાળા ચોકડી પહેલા, સંતુર ફાર્મની બાજુમાં, શીલજ-થોળ રોડ, રાંચરડા ખાતે તૈયાર થયેલા આ ધામમાં સુંદર કલાકૃતિ યુક્ત જિનાલય, ભોજનશાળા, ધર્મશાળા, બિમાર – વૃદ્ધ સાધુ – સાધ્વિજી ભગવંતોના સ્થિરવાસ માટે વૈયાવચ્ચ ધામ પણ નિર્માણ થશે.
જીનાલયમાં મુળનાયક 51 ઇંચના ચૌમુખજી, 4 પરમાત્મા બિરાજમાન છે. આ સાથે જૈન ધર્મની વર્તમાન ચોવીસીના ૨૪ તિર્થંકર પરમાત્મા, ૯ અધિષ્કાયક દેવી- દેવતા જિનાલયમાં જિવંતતાની અનુભુતી કરાવે છે. ગુરુ ભગવંતોની સ્મૃતિમાં સુંદર ગુરુ-મંદિર પણ નિર્માણ પામેલ છે. આ જીનાલય સંગેમરમરના પાષાણથી નિર્માણ થયેલી દક્ષિણી શૈલીનું કલાકૃતિ યુક્ત શ્રી પાર્શ્વ પ્રેમ ૨૪ જીનેશ્વર ધામ અમદાવાદ તથા સમગ્ર ગુજરાતભરમાં એશ્વર્ય સમાન કલાકૃતિ છે.સમગ્ર ધામના નિર્માણ દરમિયાન વાસ્તુ અંગે પુરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને વાસ્તુ દોષ ટાળવા માટે ચાર શ્રીયંત્રો ઉપરાંત ચૌમુખ ભગવાનની પણ સ્થાપના કરાઈ છે.
જેનો ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 29 નવેમ્બરથી પ્રારંભ થયેલા એકાદશાન્હિ્કા મહોત્સવ છે. પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દરરોજ વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરાશે.
કાર્યક્રમોની રુપરેખા.
– 6 ડિસેમ્બર શુક્રવારે પરામાત્માના દિક્ષા કલ્યાણક અંતર્ગત પરમાત્માના દિક્ષા, વર્ષીદાનનો ભવ્ય વરધોડો રથયાત્રા સાથે ઉજવણી.
– 6 ડિસેમ્બરની રાતના શુભ મુર્હુતમાં પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્ય સહ અનેક આચાર્યો દ્વારા પરમાત્માની અંજની વિધી.
– 8 ડિસેમ્બર રવિવારે મંગળ- મુહુર્તે પુ.પૂ ગચ્છાધિપતિશ્રીઓ તથા આચાર્યશ્રીઓ દ્વારા પરમાત્માનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ.
સમગ્ર પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગુરુભગવંતો પુ.પુ તપા ગચ્છાધિપતિ શ્રી મનોહર કિર્તીસાગર સુરિશ્વરજી મ.સા, ગચ્છ નાયક પ.પૂ આ શ્રી હેમચંદ્ર સુરિશ્વરજી મ.સા, ગચ્છાધિપતિ પ.પૂ આ શ્રી પ્રદ્યુમ્ન વિમલ સુરિશ્વર મ.સા, ગચ્છાધિપતિ પ.પૂ આ.શ્રી કુલચંદ્ર સુરિશ્વરજી મ.સા (કે.સી), નગરવાડા ગાદીપતિ યતિવર્ય શ્રી વિજય સોમજી મ.સા, પ.પૂ પન્યાસ શ્રી કુલદર્શન વિજયજી મ.સા, તથા અનેકાનેક આચાર્યશ્રીઓ, સાધુ- સાધ્વિજી ભગવંતો, સંત- મહંતો, શ્રેષ્ઠીશ્રીઓ વગેરે નિશ્રા પ્રદાન કરશે.
