પાંચ વર્ષીય બાળકીના મોતથી ખળભળાટ; અસરગ્રસ્ત પરિવારને શ્રેષ્ઠ સારવાર આપવા આરોગ્ય વિભાગને આદેશ
સુરત
સુરતના વરાછા વિસ્તારમાં રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા પંજાબી શાકનું સેવન કર્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાંચ વર્ષીય બાળકી આર્યાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યોની પુણાગામ સ્થિત સદવિચાર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ તાત્કાલિક કાર્યવાહી કરી આરોગ્ય અધિકારીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી પગલાં ભરવા સૂચના આપી છે.
આરોગ્ય અધિકારીઓ પાસેથી ઘટનાની માહિતી મેળવી
ઘટનાની જાણ થતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ અને SMCના ડો. ઉમરીગર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર ઘટનાની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે અસરગ્રસ્ત પરિવારના સભ્યોને યોગ્ય અને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે સતત દેખરેખ રાખવા અધિકારીઓને સૂચના આપી હતી.
ચાર પરિવારજનોની સારવાર પર નજર
પરિવારના ચાર સભ્યોની હાલની તબિયત અંગે સદવિચાર હોસ્પિટલના તબીબો પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ સારવારમાં કોઈ કચાશ ન રહે અને દર્દીઓને જરૂરી તમામ તબીબી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા આરોગ્ય વિભાગને જણાવ્યું હતું.
બાળકીના પરિવારને આરોગ્ય મંત્રીએ સાંત્વના આપી
પાંચ વર્ષીય બાળકી આર્યાના દુઃખદ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ મૃતક બાળકીના પરિવારજનો સાથે ટેલિફોનિક વાતચીત કરી ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે પરિવારને આ મુશ્કેલ ઘડીમાં હિંમત મળે તેવી સાંત્વના પાઠવી હતી અને બાળકીના અવસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.
શીતલ રેસ્ટોરન્ટને સીલ કરવાની સૂચના
આરોગ્ય મંત્રીએ જિલ્લા આરોગ્ય અધિકારી અને SMCના અધિકારીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. સાથે જ ઘટનામાં જવાબદાર ગણાતી શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક સીલ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે. ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રાજ્યની રેસ્ટોરન્ટોમાં સ્વચ્છતા અંગે તકેદારી
આ ઘટનાના પગલે આરોગ્ય મંત્રીએ રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે માટે સ્પષ્ટ સૂચના આપી છે. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા, હાઈજિન અને ગ્રાહકોના આરોગ્યની સુરક્ષામાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે તે માટે સંબંધિત તંત્રને સતર્ક રહેવા જણાવાયું છે.
હોસ્પિટલોમાં પણ હાઈજિન અને દર્દીઓની સલામતી પર ભાર
આરોગ્ય મંત્રીએ રાજ્યની તમામ હોસ્પિટલોમાં સ્વચ્છતા, હાઈજિન અને દર્દીઓની સલામતી અંગે પણ કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા સ્પષ્ટ સૂચના આપી છે. તેમણે જણાવ્યું કે જનઆરોગ્યની સુરક્ષા અને નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવી રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
