13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને; મહિલા ખેલાડીઓ, બોક્સરો અને પેરા-એથ્લીટ્સના પ્રદર્શનની કરી પ્રશંસા
મુંબઈ
ગ્લાસગો 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ પોતાના નામે કર્યા છે. આ પ્રદર્શનના આધારે ભારતે મેડલ ટેલીમાં ચોથું સ્થાન મેળવ્યું છે, જે દેશના રમતગમત ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ ઐતિહાસિક સફળતા બદલ રિલાયન્સ ફાઉન્ડેશનની સ્થાપક અને અધ્યક્ષા નીતા એમ અંબાણીએ સમગ્ર ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ખેલાડીઓના સમર્પણ તથા સંઘર્ષને બિરદાવ્યો હતો.
39 મેડલ પાછળ સમર્પણ અને સંઘર્ષની ગાથા
નીતા અંબાણીએ જણાવ્યું કે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીતેલા 39 મેડલ માત્ર આંકડા નથી, પરંતુ દરેક મેડલ પાછળ વર્ષોની મહેનત, ત્યાગ, શિસ્ત અને દેશનું ગૌરવ વધારવાની અદમ્ય ભાવના છુપાયેલી છે. તેમણે કહ્યું કે ખેલાડીઓએ વિશ્વ મંચ પર ભારતનું ગૌરવ વધાર્યું છે અને સમગ્ર દેશને ગર્વની લાગણી અનુભવી છે.
બોક્સરો અને મહિલા ખેલાડીઓએ રચ્યો નવો ઇતિહાસ
તેમણે ભારતીય બોક્સિંગ ટીમના પ્રદર્શનની વિશેષ પ્રશંસા કરતાં જણાવ્યું કે બોક્સરોએ રેકોર્ડબ્રેક મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. સાથે જ મહિલા ખેલાડીઓએ પણ તેજસ્વી પ્રદર્શન કરીને ભારતના મોટાભાગના ગોલ્ડ મેડલ જીત્યા છે. તેમના મતે ભારતીય મહિલાઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે યોગ્ય તક અને મંચ મળે તો તેઓ વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ સામે પણ જીત મેળવી શકે છે.
પેરા-એથ્લીટ્સ બન્યા પ્રેરણાસ્ત્રોત
નીતા અંબાણીએ ભારતીય પેરા-એથ્લીટ્સના પ્રદર્શનને પણ ઐતિહાસિક ગણાવ્યું. તેમણે કહ્યું કે પેરા ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમગ્ર દેશને પ્રેરણા આપી છે. તેમની હિંમત, દૃઢનિશ્ચય અને દરેક પડકાર સામે લડવાની ભાવનાએ લાખો ભારતીયો માટે પ્રેરણાનું કામ કર્યું છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના ખેલાડીઓની સિદ્ધિઓ પર ગર્વ
તેમણે ખાસ કરીને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાયેલા ખેલાડીઓ લવલીના બોર્ગોહેન, મુરલી શ્રીશંકર અને તેજસ્વિન શંકરના પ્રદર્શનની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે આ ખેલાડીઓએ પોતાના ઉત્કૃષ્ટ દેખાવથી દેશનું નામ રોશન કર્યું છે. રિલાયન્સ ફાઉન્ડેશન સતત પાયાના સ્તરથી પ્રતિભાશાળી ખેલાડીઓને શોધી તેમની પ્રતિભાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે કાર્યરત છે, જેથી દરેક ખેલાડી પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે.
2030 કોમનવેલ્થ ગેમ્સ તરફ ભારતની નવી આશા
નીતા અંબાણીએ જણાવ્યું કે ભારત હવે 2030માં યોજાનારી ઐતિહાસિક શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સના આયોજન તરફ આગળ વધી રહ્યું છે. આવા સમયે ગ્લાસગોમાં સફળતા મેળવનારા ભારતીય ચેમ્પિયનોએ નવી પેઢીના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ અને સપનાઓને નવી દિશા આપી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતની રમતગમતની સફર હજુ શરૂઆતના તબક્કામાં છે અને આવનારા વર્ષોમાં દેશ વધુ મોટી સિદ્ધિઓ હાંસલ કરશે.
યુવા ખેલાડીઓને પ્રેરણાનો સંદેશ
તેમણે અંતમાં દેશના યુવાનોને સંદેશ આપતાં કહ્યું કે ભારતીય ખેલાડીઓની આ સફળતા દરેક યુવાનને નિર્ભયતાથી મોટા સપનાઓ જોવા, તેને સાકાર કરવા માટે અથાગ મહેનત કરવા અને વિશ્વના દરેક મંચ પર ગર્વથી ત્રિરંગો લહેરાવવાની પ્રેરણા આપે છે. ભારતના આ ઐતિહાસિક અભિયાનથી દેશના રમતગમતના ભવિષ્યને નવી ઊર્જા અને નવી દિશા મળી છે.
