વન્યજીવ સંરક્ષણ, પ્રાણી કલ્યાણ અને અનુપાલન ક્ષેત્રે દેખરેખ વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ
જામનગર
વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત વનતારાએ પોતાની નવી સ્થાપિત પાંચ સભ્યોની ગવર્નિંગ કાઉન્સિલના પ્રારંભિક સ્વતંત્ર અધ્યક્ષ તરીકે CITESના પૂર્વ સેક્રેટરી-જનરલ જોન ઈ. સ્કેનલોન AOની નિમણૂક કરી છે. ગવર્નિંગ કાઉન્સિલ વનતારાની સર્વોચ્ચ સંચાલકીય સંસ્થા તરીકે સંરક્ષણ, પ્રાણી સંભાળ, પુનર્વસન અને અનુપાલન સંબંધિત કામગીરીની દેખરેખ રાખશે. પ્રાણીઓની પ્રાપ્તિ અંગેના અંતિમ નિર્ણયો લેવાની સત્તા પણ કાઉન્સિલ પાસે રહેશે.
વનતારાની કામગીરીમાં ગવર્નન્સને વધુ મજબૂતી
જોન સ્કેનલોને જણાવ્યું હતું કે વનતારાએ પોતાની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે બાહ્ય નિષ્ણાતોની સલાહ મેળવી છે અને તેના આધારે આંતરિક ડ્યુ ડિલિજન્સ, ગવર્નન્સ, નિષ્ણાતી અને પ્રક્રિયાઓને મજબૂત બનાવવાના પગલાં લીધા છે. સાથે જ, કુદરતી નિવાસસ્થાન બહારના રેસ્ક્યૂ અને પુનર્વસન ઉપરાંત ભારતમાં તેમજ અન્ય દેશોમાં કુદરતી નિવાસસ્થાનમાં વન્યજીવ સંરક્ષણને સહયોગ આપવાની દિશામાં પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
વૈશ્વિક સ્તરે વન્યજીવ સંરક્ષણનો અનુભવ
વ્યવસાયે વકીલ એવા સ્કેનલોનને પર્યાવરણ સંરક્ષણ, પ્રકૃતિ જતન અને ટકાઉ વિકાસ ક્ષેત્રે વિશ્વના વિવિધ દેશો અને સંસ્થાઓમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેમણે ખાનગી અને સરકારી ક્ષેત્ર ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સખાવતી સંસ્થાઓમાં વિવિધ વરિષ્ઠ જવાબદારીઓ નિભાવી છે. તેમની વ્યૂહાત્મક દૃષ્ટિ અને પરિવર્તનકારી કામગીરી માટે તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા છે.
એપ્રિલથી વનતારા સાથે જોડાયેલી પ્રક્રિયા
સ્કેનલોનનો પ્રથમ વખત એપ્રિલ 2026માં વનતારા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમને વનતારાની કામગીરી અંગે સ્વતંત્ર અહેવાલ અને ભલામણો તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સંપૂર્ણ સ્વતંત્રતા સાથે કામગીરી કરવા માટેની શરતો હેઠળ તેમણે વનતારાની કામગીરીનું મૂલ્યાંકન કર્યું અને વ્યાપક પ્રવાસ બાદ સ્વતંત્ર અહેવાલ રજૂ કર્યો હતો. વનતારાએ તેમની ભલામણોનો સંપૂર્ણ અમલ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ત્યારબાદ આ ભલામણોના અમલીકરણમાં માર્ગદર્શન આપવા અને વનતારાની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે સ્કેનલોનને સ્વતંત્ર સલાહકાર તરીકે આગળની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે પણ તેઓ સ્વતંત્ર ભૂમિકા નિભાવશે.
‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’થી સન્માનિત
વન્યજીવ સંરક્ષણ અને સુરક્ષામાં વિશિષ્ટ યોગદાન બદલ સ્કેનલોનને 2019માં ‘ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા’ (AO)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને એડિલેડ યુનિવર્સિટી ડિસ્ટિંગ્વિશ્ડ એલ્યુમની એવોર્ડ, ચાઇનીઝ ગવર્નમેન્ટ ફ્રેન્ડશિપ એવોર્ડ, ફાઇનાન્સિયલ ક્રાઇમ ફાઇટર ઓફ ધ યર એવોર્ડ અને UNEP બાઓબાબ એવોર્ડ ફોર ઇનોવેશન સહિતના સન્માનો મળ્યા છે.
અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ
સ્કેનલોન અગાઉ CITESના સેક્રેટરી-જનરલ, UNEPના પ્રિન્સિપલ પોલિસી એડવાઇઝર, IUCNના એન્વાયર્નમેન્ટલ લો સેન્ટરના ડિરેક્ટર, રોયલ બોટેનિક ગાર્ડન્સ ક્યુના ટ્રસ્ટી, ગ્લોબલ ઇનિશિયેટિવ ટુ એન્ડ વાઇલ્ડલાઇફ ક્રાઇમના ચેર સહિતની વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયામાં પર્યાવરણ, વારસા અને મૂળનિવાસી બાબતોના વિભાગના CEO, એન્વાયર્નમેન્ટ પ્રોટેક્શન ઓથોરિટીના ચેર અને મુરે-ડાર્લિંગ બેસિન કમિશનના કમિશનર તરીકે પણ કામગીરી કરી છે.
સ્કેનલોને આશા વ્યક્ત કરી છે કે વનતારા આ નવા ગવર્નન્સ માળખાને પોતાની દૈનિક કામગીરીમાં અસરકારક રીતે અમલમાં મૂકીને પ્રાણી કલ્યાણ, વન્યજીવ સંરક્ષણ અને માનવ-વન્યજીવના સુમેળભર્યા સહઅસ્તિત્વ માટે વૈશ્વિક સ્તરે વધુ પરિવર્તનકારી ભૂમિકા ભજવશે.
